________________
શ્રી પુક્ષ્મરવરદી સૂત્ર
ગણધરભગવંતો જગતના ભાવોને યથાર્થરૂપે જાણી શકે છે. જાણેલા તે ભાવોને તેઓ શબ્દરૂપે રચે છે. તેમની આ શાબ્દિક રચનાને દ્વાદશાંગી કહેવાય છે. દ્વાદશાંગીની રચના એ જ શ્રુતધર્મનો પ્રારંભ છે. આ દ્વાદશાંગીના વિસ્તારરૂપે ત્યારપછીના ગીતાર્થ ગુરુભગવંતો તેમાંથી અનેક આગમ ગ્રંથો-શાસ્ત્રો-પ્રકરણો વગેરેની રચના કરે છે. આને પણ શ્રુતજ્ઞાન જ કહેવાય છે.
૨૫૭
શબ્દરૂપે રચાયેલાં આ શાસ્ત્રનું શ્રવણ-ચિંતન-મનન આત્માને દુર્ગતિમાં જતાં બચાવે છે, માટે આ શ્રુતજ્ઞાન એ જ અપેક્ષાએ શ્રુતધર્મ છે. ભગવાનનું શાસન આ શ્રુતના આધારે ચાલે છે. આ શ્રુતજ્ઞાનનું અવલંબન લઈ આજ સુધી અનંતા આત્માઓ મોક્ષના મહાસુખને પામ્યા છે. આજે પણ જગતમાં જે કાંઈ સુખ, શાંતિ અને સમાધિ દેખાય છે, તેનું મૂળ કારણ આ શ્રુતજ્ઞાન છે.
આવા હિતકર શ્રુતધર્મનું માહાત્મ્ય જેને સમજાયું હોય, તેની પરમ ઉપયોગીતા જેની બુદ્ધિમાં બેઠેલી હોય તે વ્યક્તિને શ્રુતજ્ઞાનનો પ્રારંભ કરનારા પરમાત્મા પ્રત્યે ભક્તિ હોય જ છે. આથી જ તે શ્રુતની સ્તવના કરતાં પહેલાં શ્રુતના પિતા તુલ્ય અરિહંત પરમાત્માને આ પદો દ્વારા વંદના કરે છે.
જિજ્ઞાસા : અહીં ધર્મનો પ્રારંભ કરનાર પરમાત્માને વંદના કરી, પરંતુ પરમાત્માને શ્રુતધર્મનો પ્રારંભ કરનારા કઈ રીતે કહી શકાય ? કેમ કે શ્રુતધર્મ તો અનાદિકાળથી છે.
તૃપ્તિ : પ્રવાહથી શ્રુતજ્ઞાન અનાદિકાળથી છે તે વાત સાચી છે, તો પણ શ્રુતધર્મનો પ્રારંભ તો છે જ. નદીનું પાણી જેમ સદા વહેતું હોઈ નદી પ્રવાહથી અનાદિ હોવા છતાં પાણીની દૃષ્ટિએ વિચારીએ તો પાણી નીતનવું જ હોય છે. એનું એ જ પાણી સદા માટે નથી હોતું, તે જ રીતે મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ વિચારીએ તો જગતમાં શ્રુતજ્ઞાન ભલે અનાદિકાળથી છે, તો પણ અર્થથી એક છતાં શબ્દરચનાની દૃષ્ટિએ તે તે તીર્થંકરની અપેક્ષાએ નવીન દ્વાદશાંગી, નવા નવા ગ્રંથોની રચના થાય છે. તે અપેક્ષાએ શ્રુતની આદિ પણ કહેવાય છે અને ત્રિપદી આપવા દ્વારા તેનો પ્રારંભ કરનાર તીર્થંકરને શ્રુતજ્ઞાનની આદિ કરનારા પણ કહેવાય છે.
શ્રુતજ્ઞાન અર્થથી અનાદિ છે અને શબ્દથી શ્રુતજ્ઞાન સાદિ છે અને તે આદિને કરનાર તીર્થંકર પણ છે, એમ કહેવા દ્વારા જેઓ આગમને અપૌરુષેય અને અનાદિ માને છે; તેમની વાતનું ખંડન થાય છે.