________________
૩૧૦
પદર્શન એકને સુખ થાય છે, બીજાને દુઃખ થાય છે અને ત્રીજાને મોહ થાય છે. કેટલાક ભાવભાગની આ લાક્ષણિકતાના બળે બાહ્ય વસ્તુનો છેદ ઉડાડે છે. તેઓ કહે છે કે એકની એક વસ્તુ એકને સુખનો, બીજાને દુઃખનો અને ત્રીજાને મોહનો અનુભવ કરાવતી હોય તો અનુભવની વ્યવસ્થાપક બાહ્ય વસ્તુ માનવી વ્યર્થ છે, એના બદલે તો માત્ર ચિત્તભેદ માનવો પૂરતો છે. આની સામે સૂત્રકાર કહે છે કે વસ્તુ એક જ હોવા છતાં તે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા જુદા ભાવો જગાડે છે તેનું કારણ ચિત્તભેદ છે તે યોગદર્શન સ્વીકારે જ છે; કોઈના ચિત્તમાં સત્ત્વનું પ્રાબલ્ય હોય, કોઈના ચિત્તમાં રજસૂનું, કોઈના ચિત્તમાં તમસનું. ભાવભાગ આ દૃષ્ટિએ ચિત્તગત છે, સજેકટીવ છે. પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાહ્ય વસ્તુમાં સુખ, દુઃખ, મોહ તદન નથી જ એવું યોગદર્શન માનતું નથી. અર્થાત્ યોગદર્શન અનુસાર ભાવભાગ માત્ર ચિત્તગત (subjective) નથી. યોગદર્શનમાં ભાવભાગ ચિત્તગત છે એમ કહેવાનો અર્થ એટલો જ થશે કે ચિત્તગત સુખ, દુઃખ અને મોહ વસ્તુગત સુખ, દુઃખ અને મોહને પ્રગટ કરવાનું, ખેંચવાનું કામ કરે છે. સુખ સુખને ખેંચે છે, દુઃખ દુઃખને ખેંચે છે, અને મોહ મોહને ખેંચે છે. ચિત્તમાં સુખ, દુઃખ અને મોહનું જેટલું પ્રમાણ હોય છે તેટલા પ્રમાણમાં તેઓ વસ્તુમાંથી પોતાના સજાતીયને બહાર ખેંચી કાઢે છે. આથી એ ફલિત થાય છે કે જ્યારે આપણામાં સુખનો ભાવ હોય છે ત્યારે દુઃખ અને મોહનો ભાવ હોય છે જ પછી ભલે ગમે તેટલો મંદ હોય. આમ યોગદર્શન પ્રમાણે સુખ યા દુઃખ એકાન્ત વસ્તુગત નથી કે એકાન્ત ચિત્તગત નથી પરંતુ વસ્તુગત અને ચિત્તગત બંનેય છે. ચિત્તગત સુખ, દુઃખ અને મોહ પોતાના પ્રાબલ્યના પ્રમાણમાં વસ્તુગત સુખ, દુઃખ અને મોહને ચિત્ત સમક્ષ પ્રગટ કરે છે. આથી સુખપ્રધાન ચિત્ત વસ્તુગત સુખને વધુમાં વધુ પ્રગટ કરે છે, દુઃખપ્રધાન ચિત્ત વસ્તુગત દુઃખને વધુમાં વધુ પ્રગટ કરે છે અને મોuધાન ચિત્ત વસ્તુગત મોહને વધુમાં વધુ પ્રગટ કરે છે. આમ ચિત્તભેદને કારણે એકની એક વસ્તુ એક વ્યક્તિમાં સુખ, બીજીમાં દુઃખ અને ત્રીજીમાં મોહ પેદા કરે છે. આમ એકની એક વસ્તુ એક વ્યક્તિમાં સુખનો, બીજીમાં દુઃખનો અને ત્રીજીમાં મોહનો ભાવ જગાડે છે એ હકીકત તો એટલું જ પુરવાર કરે છે કે તેમના ચિત્તોમાં ભેદ છે (અર્થાત્ પ્રથમ વ્યક્તિનું ચિત્ત સત્ત્વપ્રધાન છે, બીજીનું રજપ્રધાન છે અને ત્રીજીનું તમપ્રધાન છે) અને નહિ કે બાહ્ય વસ્તુ જેવી કોઈ વસ્તુ જ નથી. વળી, જે એક વસ્તુ જે વ્યક્તિઓમાં જુદા જુદા ભાવો જગાડે છે તે જ વસ્તુ તે જ વ્યક્તિઓમાં જ્ઞાન તો સમાન ઉત્પન્ન કરે છે. આ જ્ઞાનની સમાનતા વસ્તુ ચિત્તબાહ્ય છે તે પુરવાર કરે છે.' .
કેટલાક દાર્શનિકો કહે છે કે વસ્તુને ચિત્તની બહાર માનવા છતાં અમે તેને ચિત્તથી સ્વતંત્ર માનવાના મતના નથી. બાહ્ય વસ્તુનું અસ્તિત્વ જ્ઞાન ઉપર નિર્ભર કરે છે. આમ બાહ્ય વસ્તુ હોવા છતાં તે સ્વતંત્ર નથી પણ ચિત્તને આધીન છે, ચિત્તતંત્ર છે.
આ માન્યતામાં રહેલા દોષ તરફ સૂત્રકાર સંકેત કરતાં કહે છે કે જ્યારે ચિત્ત જાણતું ન હોય ત્યારે વસ્તુની શી દશા થશે? મારા અભ્યાસખંડમાં ટેબલ છે, ખુરશી છે, ઘોડો છે, ઘોડામાં અમુક ક્રમમાં ગોઠવેલાં પુસ્તકો છે, વગેરે. રાત્રે દસ વાગે ટેબલ પરથી