________________
અધ્યયન પ ચિત્તવૃત્તિનિરોધના ઉપાયો
ચિત્તવૃત્તિનો નિરોધ કરવા માટે પહેલાં અભ્યાસ અને વશીકારવૈરાગ્ય દ્વારા સંપ્રજ્ઞાતસમાધિ સંપાદન કરવી જોઈએ. સંપ્રજ્ઞાતૃસમાધિમાં માત્ર વિવેકજ્ઞાનરૂપ યા પુરુષદર્શનરૂપ ચિત્તવૃત્તિની પ્રશાંત ધારા ચાલે છે. આ વિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિનોય નિરોધ પર વૈરાગ્યથી થાય છે અને તેમ થતાં ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ થઈ જાય છે. આ જ વાત ભાષ્યકારે બીજી રીતે કરી છે. ચિત્ત એક નદી છે. તે ચિત્તનદીના વૃત્તિરૂપ પ્રવાહને વહેવાના બે‘ માર્ગો છે—બહિર્મુખ અને અંતર્મુખ. બહિર્મુખ માર્ગે વહેતો વૃત્તિપ્રવાહ અવિવેકરૂપ ઢાળને કારણે સંસારસાગર ભણી દોડે છે અને અંતર્મુખ માર્ગે વહેતો વૃત્તિપ્રવાહ વિવેકરૂપ ઢાળને કારણે કૈવલ્યસાગર ભણી દોડે છે. ચિત્તવૃત્તિના પ્રવાહને સંપૂર્ણપણે નિરોધવા પ્રથમ તો તેને બહિર્મુખ માર્ગે વહેતો અટકાવી અંતર્મુખ માર્ગે વહેતો કરવો જોઈએ. તેને બહિર્મુખ માર્ગે વહેતો અટકાવવા અપર વૈરાગ્ય જરૂરી છે અને તેને અંતર્મુખ કરવા વિવેકદર્શનનો અભ્યાસ જરૂરી છે. એકવાર ચિત્તવૃત્તિઓનો પ્રવાહ દૃઢપણે અંતર્મુખ બની જાય પછી તેનેય પર વૈરાગ્ય (અને પર વૈરાગ્યના) અભ્યાસથી અટકાવી દેવો. આમ થતાં ચિત્તવૃત્તિના પ્રવાહનો સંપૂર્ણ નિરોધ થઈ જાય છે.' એટલે જ સૂત્રકારે ચિત્તવૃત્તિનિરોધના સામાન્યરૂપે બે ઉપાયો કહ્યા છે—અભ્યાસ અને વૈરાગ્ય.
ચિત્તવૃત્તિનો નિરોધ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય બંનેય આવશ્યક છે; એટલું જ નહિ, પણ સાધકે બંનેયનું અનુષ્ઠાન સાથે જ કરવું જરૂરી છે. પહેલાં વૈરાગ્ય સિદ્ધ કર્યા પછી જ અભ્યાસમાં પ્રવેશવું જોઈએ એમ માનવું બરાબર નથી, કારણ કે અભ્યાસ અને વૈરાગ્ય બંને એકબીજાના ઉપકારક છે. જેટલો વખત ચિત્ત વિષય પ્રત્યેનો રાગ છોડે છે તેટલો વખત તે સહજ રીતે અંતર્મુખ બની સ્થિર થાય છે અને જેટલો વખત ચિત્ત અંતર્મુખ બની સ્થિર થાય છે તેટલો વખત તે વિષયથી વિમુખ હોઈ વિષયરાગથી મુક્ત રહે છે. વળી, ચિત્તને બાહ્ય વિષયોમાં ભટકતું અટકાવવા વૈરાગ્ય જરૂરી છે જ્યારે તેને અંતર્મુખ બનાવી સ્થિર થવાની ટેવ પાડવા અભ્યાસ જરૂરી છે. આ દૃષ્ટિએ પણ અભ્યાસ અને વૈરાગ્યનું એક સાથે અનુષ્ઠાન જરૂરી છે.
અભ્યાસ એટલે શું ? અભ્યાસનો સામાન્ય અર્થ છે અમુક ટેવ પાડવા કરાતો વારંવાર યત્ન. પ્રસ્તુત સંદર્ભમાં અભ્યાસનો અર્થ થશે ચિત્તની પૂર્ણ સ્થિરતારૂપ