________________
યુગે યુગે પાટણની પ્રભુતા
‘‘દ્રવ્યાસાર પારસમતિ, ઉર્વીસાર ગુજરાત’’ અર્થાત્ ચીજવસ્તુઓમાં પારસમણિ ઉત્તમ છે એમ ધરતી પર ગુજરાત શ્રેષ્ઠ છે.
૫૧૯
(કવિ શંકર બારોટ) ‘‘અણહિલપુરનો ઘેરાવો ૧૨ (બાર) કોસ (એક કોસ બરાબર ત્રણ માઇલ થાય) હતો. અર્થાત્ પ્રાચીન પાટણનો ઘેરાવો ૩૬ (છત્રીસ) માઇલ હતો. આ શહેરમાં ૮૪ ચોક અને ૮૪ ચૌટાં હતાં. સોના-રૂપાના સિક્કા પાડવાની ટંકશાળો હતી. (કર્નલ ટોડ)
‘‘અણહિલપુર પાટણ એટલે નરસમુદ્ર’'
‘હનુમાન લંકા કૂદતાં થાક્યા નહીં, પરંતુ જો તેઓ પાટણ આવે તો પાટણ કૂદતાં થાકી જાય’’ ‘‘અણહિલપુર કુબેરની અલકાપુરી અને ઇન્દ્રની અમરાપુરી જેવું છે''
‘‘અહીં (પાટણમાં) બાવન બજાર અને ચોર્યાસી ચૌટાં હતાં. દરરોજ જકાતમાં એક લાખ ટંકા (એક પ્રકારનું નાણું) ઉઘરાવવામાં આવતું’’
‘‘અણહિલપુરમાં ૧૮૦૦ કોટચાધીશો હતા. ત્યારે લખપતિઓનું તો પૂછવું જ શું ?
‘“પાટણ હિન્દુઓનું કાશી, જૈન ધર્મનું પિયર અને મુસલમાનોનું બીજું મક્કા હતું. (અર્થાત્ બધાજ ધર્મનાં દેવસ્થાનો અહીં હતાં. કોઇને યાત્રા કરવા બહાર જવું જ ન પડે એવી વ્યવસ્થા પાટણમાં હતી)’’
‘“આ નગરમાં ઊંચા દેવમંદિરો આકાશમાં સૂર્યના અશ્વોનો માર્ગ રોકે છે’'
“આ નગર પૃથ્વી પર ધર્મપાલન માટે ઉપાધ્યાઓનું શિક્ષાગૃહ અને નગરની સતત્ સમૃધ્ધિ વધારનાર મહાક્ષેત્ર છે. (કવિ શ્રીપાલ)
‘આ ચૈત્યમાં (કુમારવિહારમાં) શ્રાવકો પુણ્યની ઇચ્છાથી, રોગીઓ રોગ દૂર કરવા, કારીગરો શિલ્પ જેવા, રસિકો સંગીતકની શ્રધ્ધાથી એમ જુદા જુદા આશયથી માણસો મુલાકાતે જાય છે’’ (શ્રી રામચંદ્રસૂરિરચિત કુમારવિહારશતક)
‘‘પટ્ટણીઓનું ત્રણ બાબતોનું અભિમાન હતું.
(૧) ગુજરાતનું વિવેકબૃહસ્પતિત્વ. (૨) તેમના રાજાનું સિધ્ધચકિત્વ. (૩) પાટણનું નરસમુદ્રત્વ. આ ત્રણ બાબતમાં કોઇ વિવાદ કરે તે પટ્ટણીઓ સહન કરી શકતા નહીં. જો કોઇ વિવાદ કરે તો તેનો નિર્ણય ‘વાદ’ થી કે ફેંસલો ‘યુધ્ધ’ થી જ થતો.
પ્રાચીન સાહિત્યમાં અણહિલપુર પાટણનું આવું ભવ્યાતિભવ્ય વર્ણન વાંચવા મળે છે. એ જમાનામાં પશ્ચિમ ભારતના પ્રબળ સામ્રાજ્યની પાટણનગરી તરીકે પાટણનું વિશિષ્ઠ સ્થાન હતું. એ એક ઐતિહાસિક હકીકત છે.