________________
યુગે યુગે પાટણની પ્રભુતા
४०७
પાટણમાંથી લુપ્ત થઈ ગઈ છે. ગૂર્જરેશ્વરના અશ્વોને સિંધુનાં પાણી પાનાર દંડનાયક વિમલ કે પાટણના કંપાયમાન સિંહાસનને દઢ કરી ગુજરાતની સંસ્કૃતિદીપકને ફરી એકવાર સ્થિરજ્યોત બનાવનાર વસ્તુપાલના વંશજો ક્યાંય શોધ્યા જડતા નથી. પાટણના અને ગુજરાતના વ્યકિતત્વના ઘડતરમાં અદનો હિસ્સો આપનાર મહામાત્યો, મંત્રીઓ સેનાપતિઓ અને સાંધિવિગ્રહકો-મુંજાલ અને શાન્તુ, આશુક અને સર્જન, ઉદયન અને સોમ, આંબડ અને કપદ; ચંડશમ અને દામોદર, દાદક અને મહાદેવ, ગાંગિલ અને યશોધવલ તથા બીજા કેટલાયે કેવળ કીર્તિશેષ બન્યાં છે. પાટણના જૈનો, બ્રાહ્મણો અને નાગરોને આ નામો પૈકી કોઈ યાદ પણ છે કે કેમ તે કોણ જાણે ! આજે પણ પાટણ ગુજરાતનાં ધનિક શહેરો પૈકી એક છે, પરંતુ એ ધનને કારણે પણ તેનો માનભંગ થાય છે, કારણ કે એના ધનિકો બધા જ પરદેશ સેવે છે અને માત્ર વાર-તહેવારે વતનમાં આવીને પોતાના ધનનું પ્રદર્શન કરી જાય છે. એકવાર “નરસમુદ્ર' તરીકે વિખ્યાત થયેલા નગરના સેંકડો મકાનોમાં બારણાં સદાકાળ બંધ જોવા એ પણ એક ઉäગજનક દશ્ય છે.
છતાં એ પણ એક સત્ય છે કે ભૂતકાળમાં શૌર્ય સાથે અહિંસાના, ઐશ્વર્ય સાથે સંયમના, વૈભવ સાથે વિદ્યાવ્યાસંગના અને વાણિજ્ય સાથે સરસ્વતી સેવાના આદર્શો ચરિતાર્થ કરીને પાટણે કૃતકૃત્યતા સાધી છે. પોતાના ગૌરવકાળમાં ગુજરાતનું ગુરુપદ લઈને એનું અસ્તિત્વ સાર્થક કર્યું છે. ઈતિહાસના રંગમંચ ઉપર પોતાની કર્તવ્યભૂમિકા પૂરી કરીને પાટણે વાનપ્રસ્થ લીધું છે. આ જગતમાં કશું જ સ્થિરસ્થાવર નથી. અસ્તોદયનું ચકનિરંતર ચાલ્યા કરે છે. ચડતી પછી પડતી અને પડતી પછી ચડતી એ પ્રકૃતિનો સનાતન નિયમ છે. ઈતિહાસના આરંભથી માંડી અનેક મહાનગરો અને મહાસામ્રાજ્યો ઊગીને આથમી ગયાં છે. પાટણ પણ એ સનાતન નિયમને આધીન બન્યું હોય તો એમાં શોક શા માટે ? છતાં પણ પાટણનાં ખંડેરોમાં પરિભ્રમણ કરતાં કંઇક ભૂમિપ્રેમ અને દેશપ્રેમને કારણે, નરસિંહરાવની જેમ સહજ ભાવે બોલાઇ જવાય છે કે -
પાટણ! પુરી પુરાણ ! હાલ તુંજ હાલ જ હાવા !”