________________
યુગે યુગે પાટણની પ્રભુતા
સિદ્ધરાજે વશ કરેલો બાબરો ભૂત
પ્રા. મુફદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય અલાઉદ્દીન પાસે જાદુઈ ચિરાગ હતો. તેમાંથી અલાઉદ્દીનના આદેશ મુજબ જીન ઉદ્ભવતો અને અલાઉદ્દીને બતાવેલાં કામ તત્કાલ કરી આપતો હતો. એ રીતે સિદ્ધરાજે બાબરા” નામના ભૂતને વશ કર્યો હતો. આ બાબરો ભૂત સિદ્ધરાજને લઈને આકાશમાં વિહરતો હતો. સિદ્ધરાજની આજ્ઞા થતાં જ બાબરો નગરની ચારે બાજુનો કોટ બાંધી દેતો. બાબરો ઘડીના છઠ્ઠા ભાગમાં નદી પર પુલ બાંધી આપતો હતો. સિદ્ધરાજની ઇચ્છા મુજબ બાબરો અશક્ય દેખાય એવાં પણ કામ કરતો હતો. આવી વાતો બાળપણમાં જ્યારે સાંભળી હતી. રાણકીવાવ, સહસ્ત્રલીંગ તળાવ કે રાણીના મહેલ ઉપર ફરવા કે રમવા જતા ત્યારે ત્યાં બાબરો ભૂત મળી જાય તો આપણું કામ થઈ જાય ! પછી તો બાબરો ભૂત અમને સિનેમાની ટીકીટ લાવી આપે, પરીક્ષાના પેપર લાવી આપે, રમતગમતમાં અમારી ટીમને હંમેશાં વિજયે જ થાય. આવાં કામો કરાવવાની કલ્પના હતી. ભૂતપ્રેતની કથા હંમેશા રમ્ય લાગે છે. આ બાબરો કોણ હતો?
બાબરો કોઇ ભૂત ન હતો, પણ ભીલ યા કોળી એવી કોમ (જાતિ) નો સરદાર હતો. આ બાબરો યાને બર્બરકો સિદ્ધરાજે જીત્યો હતો. તેથી સિદ્ધરાજ જયસિંહને ‘બર્બરકજિષ્ણુ” નું બીરૂદ લગાવવામાં આવ્યું છે. એવી ઉજૈનના એક લેખમાં સ્પષ્ટતા કરી છે. '
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે લખેલ મહાકાવ્ય “દ્વયાશ્રય”માં એવી વાત લખી છે કે, કેટલાક બ્રાહ્મણોએ-ઋષિઓએ સિદ્ધરાજ પાસે ફરીયાદ કરી કે રાક્ષસોએ સિધ્ધપુર ભાંગ્યું છે, દેવાલયો તોડી પાડયાં છે અને અમને ઘણો ત્રાસ આપ્યો છે, માટે અમારું રક્ષણ કરો.
. સિદ્ધરાજે આ સાંભળતા જ, એક શૂરવીર રાજાને છાજે એ રીતે ગૌબ્રાહ્મણના પાલક તરીકે પોતે જાતે સિધ્ધપુર બાબરાની સેના સામે લડવા ગયો પણ બાબરો જોરાવર હતો. કદાવર અને પડછંદ કાયા ધરાવતો હતો. સામેથી કાળમીંઢ ડુંગર ચાલ્યો આવતો હોય તેવો લાગતો હતો. વળી તે હિંગળાજનો ઉપાસક હતો. બંને વચ્ચે ધમાસાણ યુધ્ધ થયું. યુધ્ધમાં સિદ્ધરાજની તલવારના ભૂક્કા ઉડાવી દીધા. સિદ્ધરાજ પણ ગાંજ્યો જાય તેમ ન હતો. સિદ્ધરાજે બાબરાને એક પહેલવાનની અદાથી ઠંધ યુધ્ધ માટે લલકાર્યો. બે ડુંગરો અથડાય અને ધરતી ધ્રુજી ઉઠે એવું ધમાસાણ યુધ્ધ થયું. બાબરો પડયો એવો જ એને દોરડાથી મુશ્કેટોટ બાંધી લીધો. બાબરાને હરાવી પોતે વિજયી બન્યો અને સિદ્ધરાજ બર્બરકજિષ્ણુ” કહેવાયો.
માળવાના વિજય પછીનો પ્રસંગ છે. બાબરાની પત્ની પિંગલીકાની વિનંતીથી બાબરો સદાય સિદ્ધરાજની સેવામાં જ રહેશે એ શરતે તેને મુક્ત કરવામાં આવ્યો. વાભદાલંકારમાં એનો ઉલ્લેખ છે. અરિસિંહ જણાવે છે કે, આ બાબરો સિદ્ધરાજને હવામાં ઉંચકીને ફરતો હતો. (બાબરા પાસે એરોપ્લેન વિમાન) જેવું કોઈ સાધન હોય તો આ વાત અશક્ય નથી. કીર્તિકૌમુદીમાં પણ