________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૧૮ સર્વતીર્થોમાં સિદ્ધક્ષેત્ર મોટું તીર્થ છે, જ્યાં સરસ્વતી નદીનું મહાસ્થાન આવેલું છે, અને જે અડસઠ તીર્થોએ મળી મુખ્ય તરીકે સ્થાપન કર્યું છે. જ્યાં જવાથી જીવ પાપમાંથી મુક્ત થઇ જાય તેવું તે નિર્મળ પવિત્ર છે. તેના કિનારા ઉપર એક ભલું-મોટું નગર છે, જેના જેવું બીજું કોઈ નગર નથી. આ નગરનો રાજા જે રાજ કરે છે, તેના જેવો ભડવીર બીજો કોઇ રાજા ભૂમંડલ ઉપર નથી. તે દાનવીર, સાહસિક, ધીર, એવો વીર-પરાક્રમી સિદ્ધરાજ જેસિંગ ત્યાં રાજ ચલાવે છે. આ નગરમાં ચોરાસી ચૌટાં આવેલ છે, જ્યાં રોજ નવા નવા ઉત્સવો અતિ હર્ષોલ્લાસથી ઉજવાય છે. તેમાં ઉદાર ઘણાક વહેપારીઓ વસે છે, જેમાં લખેશરીઓનો તો પાર નથી. જૈનશાસનનો અહીં પ્રભાવ સારો છે, તેથી અહીં જૈનોનાં ઘણાં દેરાં આવેલાં છે. આ નગરીમાં કેટલાયે મહાનુભાવો-મહાજનો, પૃષ્પ લઇ પાર્શ્વનાથની પૂજા કરે છે, જેથી તેઓ મોક્ષમાર્ગે ગયા છે. અહીં સિંહ જેવા શૂરવીર હાથિયારધારીઓ છે, જેની સેવા તેમના શત્રુઓ કરે છે. પુણ્યકર્મો કરનારાઓનો તો પાર જ નથી. અહીં અવંતિનો ઉદ્ધાર કરનાર અવંતિ ઉપર વિજય મેળવનાર (સિદ્ધરાજે) રૂદ્રમાળ બંધાવ્યો, જે શિખરબદ્ધ મોટો પ્રાસાદ છે તે એટલો ઊંચો છે કે જાણે મેરૂ પર્વતથી વાદ-સ્પર્ધા ન કરતો હોય ! જે પાષાણથી બંધાવેલો હોઇ તેમાં ચૌદસો ચૂંવાળીસ તંભો છે. તે બધા મોટા ઘૂમટવાળા મંડપો, તથા સ્તંભો એવી ઉત્તમ કારીગરીવાળા છે, જાણે તે બધા આશ્ચર્યને પ્રદર્શિત કરે છે. આ પ્રાસાદના ધ્વજદંડ અને શિખસ્કળશોનો પાર નથી, તેથી તે ઇંદ્રના મહામંદિર જેવો લાગે છે. ચારેબાજુ ચૌદ હજાર દેરીઓ તેમાં છે, જેનાં શિખરો ઉપર સુવર્ણની ધજાઓ શોભી રહી છે, તેના દર્શન માત્રથી સંસારનાં સર્વ દુઃખો નાશ પામે છે, એવા આ પ્રાસાદની જોડ ત્રિભુવનમાંથી મળવી મુશ્કેલ છે. •
કપૂરમંજરીનું આ વર્ણન આલંકારિક હોવા છતાં તેમાંથી રૂદ્રમહાલય માટે સમાજમાં તે કાળે પ્રચલિત માન્યતાઓને વ્યકત કરે છે. ઉપદેશતરંગિણી' માં કવિવર મુનિશ્રી રત્નમંદિરમણિએ રૂદ્રમહાલય માટે થોડી નોંધ લીધી છે, જે છઠ્ઠા પ્રકરણમાં આપી હોવાથી પુનરૂક્તિ અહીં કરી નથી. રૂદ્ર મહાલય માટે રાસમાળામાં શ્રી ફાર્બસ સાહેબે સારું એવું વર્ણન રજૂ કર્યું છે. જેનો કેટલોક ભાગ આગળના પ્રકરણોમાં આપી ગયા છીએ. “આર્કિયોલોજીકલ સર્વે ઓફ નોર્ધન ગુજરાત' નામના ગ્રંથમાં, શ્રી જેમ્સ બર્ગેસ, અને કઝીન્સ, રૂદ્રમહાલય અને સિદ્ધપુર માટે સ્વતંત્ર પ્રકરણ રજૂ કર્યું છે. જેમાં તેના માટે સ્વતંત્ર વિચારણા કરી હાલના અવશેષોના આધારે તે કેવું હશે તેનો અપૂર્વ ખ્યાલ રજૂ કર્યો છે. તેમણે બે ત્રણ વખત સિદ્ધપુરની મુલાકાત લીધેલી અને પાટણના શિલ્પવિશારદ એક સૂત્રધાર પાસે તેનો પ્લાન પણ તૈયાર કરાવેલો. તેના આધારે રૂદ્રમહાલય ઉપર સારો એવો પ્રકાશ આ વિદ્વાનોએ પાડ્યો છે. કર્નલટૉડે પોતાની પ્રવાસ નોંધમાં રૂદ્રમહાલયની ટૂંકનોંધ લીધી છે. આમ રૂદ્રમહાલય માટે ઘણા વિદ્વાનોએ જુદાં-જુદાં વિધાનો રજૂ કર્યા છે. તે બધાને અહીં સંકલિત કરવા પ્રયત્ન કર્યો છે. છેલ્લે શ્રી પ્રેમશંકર દામોદરદાસ ઠાકરે, રૂદ્રમહાલય માટે સ્વતંત્ર પુસ્તિકા બહાર પાડી છે, જે રૂદ્ર મહાલયના જિજ્ઞાસુઓને કેટલીક હકીકતો પૂરી પાડે છે. આ સિવાય સ્વ. શ્રી રામલાલ મોદીએ
પાટણ સિદ્ધપુરનો પ્રવાસ” નામક પુસ્તિકા શ્રી સયાજી બાળજ્ઞાનમાળા દ્વારા ઇ.સ. ૧૯૧૧માં , પ્રસિદ્ધ કરી હતી, તેમાંથી પણ સામાન્ય નોંધ આ મહાપ્રાસાદ રૂદ્રમહાલય માટેની મળે છે.