________________
પરહિતચિંતા
મહામુશ્કેલીએ બે ટંકના રોટલા ભેગો થતો માનવબંધુ જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવના ભાવી શકે ખરો કે ?
હા.
કઈ રીતે ?
નીચે મુજબ રીતે :
“એમ કે મારી આજની આ દરિદ્રતાનું મૂળ કારણ ભૂતકાળની મારી ભાવરિદ્રતા છે. ભૂતકાળમાં બીજા જીવોના હિતને ભાવ આપવામાં મેં સેવેલી બેદરકારીનું પરિણામ હું આજે ભોગવી રહ્યો છું. મેં મારા ભાવમાં બીજા કોઈ પણ જીવના હિતને સ્થાન નથી આપ્યું તેના પરિણામરૂપે હું આજે આવી દીનદશામાં છું.
હું જો હજી પણ એ જ માર્ગ ઉપર ચાલતો રહીશ તો આજે મળી રહ્યો છે, તે બે ટંકનો રોટલો પણ મળતો બંધ થશે.
શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો મારા હિતને ભાવ આપી રહ્યા છે, જ્યારે હું અધમ તે ભાવની સામે થવાની ધીઠાઈ બતાવી રહ્યો છું.
મતલબ કે તેઓશ્રીના તે ભાવને નમવાને બદલે, તે ભાવરૂપી જળમાં મારા પરિણામને વિશુદ્ધ કરવાને બદલે તે તરફ મારા મનને જવા પણ દેતો નથી.” જેને રોટલો પણ માંડ મળતો હોય તે આવી ભાવના ભાવી શકે ?
એ જ તેના અને સર્વના હિતનો માર્ગ છે.
એટલે અન્યથા પ્રકારની દલીલવડે તેની ઉપેક્ષા કેમ કરી શકાય ?
નાનકડા એક દીવાનું તેજ ઘણા મોટા અંધકારને તત્કાળ દૂર કરે છે, તેમ શુભભાવમાંથી જન્મની પવિત્ર શક્તિ એના ભાવુકની પ્રતિકૂળતાઓને દૂર કરે છે.
પરના હિતની ભાવનાપૂર્વકની યથાશક્ય પ્રવૃત્તિ, એ ગમે તેવા અંતરાયો અને આપત્તિઓથી પર બનવાનો ચોક્કસ રાજમાર્ગ છે.
જે દ્રવ્યથી દરિદ્ર હોય તે શુભભાવના પણ ન ભાવી શકે એમ માનવું તે એવા મતનું સમર્થન કરે છે કે, દ્રવ્યથી દરિદ્ર હોય તે ભાવથી પણ દરિદ્ર હોય. આ માન્યતામાંથી એ વિચારધારા પણ જન્મે કે જે પૈસેટકે સુખી હોય તે ભાવથી પણ શ્રીમંત હોય.
જ્યારે તાત્ત્વિક રીતે વિચારતાં ઉપરની બંને માન્યતાઓ સત્યથી વેગળી છે.
ate cm.ન