________________
શ્રીનવકારનો ભાવ
શ્રીનવકારમાં ત્રિભુવનનું તેજ છે. સર્વકલ્યાણનું પરમ સંગીત છે. વિશ્વ-હૃદયનું અણમોલ ગીત છે. મનના કુછંદને નાથનારો મહાછંદ છે. જેવો તેનો જાપ શરૂ થાય છે કે તરત તેની અનેક ખૂબીઓ અનુભવવા મળે છે.
તેને સાંભળવા માટે આખું વિશ્વ કાન માંડીને બેઠું હોય તેવું તે સમયે જણાય છે. વિશ્વ આખું શ્રીનવકાર-ઘેલું હોય તેવો ભાવ હૃદયને થાય છે.
- અને તે ખરેખર સાચું છે. વાતાવરણ ઉપરની શ્રીનવકારની મજબૂત પકડ તેની સાખ પૂરે છે.
શ્રીનવકારનો એક એક અક્ષર વાતાવરણમાં ખૂબ જ દૂર તેમ જ ઊંડે સુધી આંદોલન ફેલાવે છે.
તે જેટલા ઓછા સમયમાં વાતાવરણને સ્વમય બનાવી શકે છે તે જોઈ-જાણીને તેના વિશ્વપ્રભુત્વને સ્વાભાવિકપણે નમન થઈ જાય છે. કહો કે તેની અમાપ ભાવસત્તા સમક્ષ આપણામાં આસન જમાવીને બેઠેલો અહં એકવાર તો ગરદન ઝૂકાવી જ દે છે.
જેવો બોલાય છે તેવો તે ઝીલાય છે અંદર તેમ જ બહાર. અને તે પણ કઈ રીતે? પૃથ્વીને સૂર્યનું પહેલું કિરણ સ્પર્શતું હોય તે રીતે, હવામાં સંગીતના સરસ સૂર ભળી જતા હોય તે રીતે, કોઈ જીવના હિતને કશી પણ હરકત પહોંચાડ્યા સિવાય, સહુના આત્મ-પ્રદેશને અજવાળાની લગન સાથે.
આવા શ્રીનવકારને ધારણ કરનારું મન, વિશ્વમન (Cosmic mind) બને તેમાં કશું આશ્ચર્ય નથી.
આવા શ્રીનવકારને ધારણ કરનારા હૃદયમાં ત્રણ જગતના સર્વ જીવોના પરમહિતનું સંગીત અહર્નિશ ગૂંજતું રહે તે સ્વાભાવિક છે.
મજબૂત મન અને શ્રીનવકારનો સુયોગ અતિ દુર્લભ છે.
આવો અનુપમ યોગ થયા પછી ભવમાર્ગમાં ભૂલા પડાય, કેવળ સ્વાર્થના કાંટાળા માર્ગ ઉપર ચાલવાનો ભાવ થાય, શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા પાછળ રહી જાય એ અત્યંત શોચનીય હકીકત ગણાય.
૧૪૦૦ ધર્મ-ચિંતન