________________
(૩) સંસારની નિર્ગુણતા અને મોક્ષની ગુણમયતાને સદા લક્ષ્ય સન્મુખ રાખવી અને એ બે વસ્તુને રોજ ને રોજ ખૂબ ભાવિત કરવી. એ વિના જીવનમાં સંયમશુદ્ધિ ટકવી દુષ્કર છે. બધા યોગોમાં એને જ મોટો યોગ સમજવો. તેવું જ વાંચવું, તેવું જ સાંભળવું અને તેવું જ વિચારવું કે જેનાથી એ બે વસ્તુ દઢ થાય.
(૪) પ્રારબ્ધ કર્મના યોગે પ્રાપ્ત થયેલ સઘળા સંયોગ સંબંધોને સમભાવે વેદવા અને મનથી સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરી સર્વની સાથે યથા ઉચિત વ્યવહાર કરવો. સમાન ધર્મી પ્રત્યે ધર્મપ્રેમ ખૂબ વધારવો, ગુણવંત આત્માઓ પ્રત્યે પ્રમોદભાવ ધારણ કરવો, વિરુદ્ધ ધર્મી પ્રત્યે માધ્યચ્યભાવ અને દુ:ખી પ્રત્યે કરુણાભાવ કેળવવો.
આ ચાર ભાવનાથી વિપરીત ભાવ ન સ્પર્શે તે માટે સતત જાગરુક રહેવું. આત્માને હંમેશાં ચાર ભાવનામાં રમણતા કરાવવાનો પ્રયાસ કરવો એ યોગ અધ્યાત્મ માર્ગનું સર્વસ્વ છે. તે એક મહાન યોગ છે, એટલું જ નહિ પણ બીજા તમામ યોગો માટે પ્રાણપૂરક તત્ત્વ પણ છે. તેનાથી દોષોની સત્તા નિર્મૂળ બને છે. હંમેશાં ચાર ભાવનામાં રમણ કરનારો આત્મા પોતાના સહજ ગુણોમાં રમણ કરનારો હોવાથી તેને કેટલાક “બ્રહ્મવિહાર” પણ કહે છે.
(૫) આપણો આત્મા નિશ્ચયથી સિદ્ધ સ્વરૂપ હોવા છતાં વર્તમાનમાં અજ્ઞાની, નિર્ગુણી, પાપી અને સર્વ પ્રકારના દોષોથી ભરેલો છે, એ ન ભૂલવું એના પ્રતિકાર માટે નિત્ય અધિક જ્ઞાની, અધિક ગુણી, અધિક પુણ્યશાળી અને અધિક નિર્દોષ પુરુષોની સત્સંગતિને ચાહવી અને એમની શીતળ છાયા નીચે રહેવું.
(૬) ચારિત્રધર્મ એ વીર પુરુષોનો માર્ગ છે. તેને સિંહની જેમ સ્વીકારવો અને સિંહની જેમ પાળવો એ આપણો આદર્શ હોવો જોઈએ.
સાધનાનું અંતિમ રહસ્ય: સાચા ભાવે દેવ, ગુરુ, ધર્મનું પાતંત્ર્ય કેળવવું. તેમને સમર્પિત રહેવું મન, વચન, કાયા તેમની આધીનતાએ પ્રવર્તે તેવો અભ્યાસ કેળવવો. પ્રાપ્ત થયેલ સર્વ વસ્તુઓ ઉપર પોતાપણાની માલીકીની બુદ્ધિ ઉઠાવી લેવી અને દેવ, ગુરુ, ધર્મની માલીકી છે, એ પ્રકારની બુદ્ધિને દઢ કરવી અને શક્ય પ્રમાણમાં તેને વર્તનમાં લાવવા ખૂબ જ પ્રયાસ કરવો, એ સાધક જીવનનું રસાયણ છે. સાધનાનું અંતિમ રહસ્ય છે અને સાધ્યસિદ્ધિનો અમોઘ ઉપાય છે.
૫૪ • ધર્મ અનુપ્રેક્ષા