________________
ન્યાય સંપન્નતા-૪
(વૃત્તિ-અન્યાયના પક્ષમાં ભળે છે તેનાં કેવાં ભયંકર પરિણામ જીવને ભોગવવાં પડે છે તેનું તથા ન્યાયના પક્ષમાં રહે છે તેનું કેવું મંગલમય પરિણામ આવે છે તેનું આ પત્ર-લેખમાં સ્પષ્ટ વિવેચન છે. માર્ગાનુસારિતાના પ્રથમ ગુણરૂપ ન્યાયસંપન્નવૈભવનું ચિંતનાત્મક વિવેચન આ લેખમાં પૂરું થાય છે. સં.)
સુમન ! આજ પૂર્વે અનુપ્રેક્ષારૂપે ન્યાયસંપન્નવૈભવ અંગે જે કંઈ વિચાર્યું એથી સારભૂત તને એટલું સમજાયું હશે કે લૌકિક લોકોત્તર કોઈ પણ પ્રવૃત્તિ જો ન્યાયવૃત્તિથી કરવામાં આવે તો તે ધર્મને-આત્મધર્મને (આત્માના સ્વરૂપને) પ્રગટ કરી જીવને નિરુપાધિક સુખનો ભોક્તા બનાવી શકે છે, એથી વિપરીત સારી ગણાતી પ્રવૃત્તિ પણ જો અન્યાયવૃત્તિપૂર્વક કરવામાં આવે તો તે અધર્મનું-મિથ્યાત્વનું (કામ-ક્રોધાદિ જડભાવોનું) પોષણ કરી જીવને ભવમાં ભટકાવે છે. આ કારણે જ જ્ઞાનીઓએ સુખનું મૂળ ન્યાય છે અને દુઃખનું મૂળ અન્યાય છે એમ કહ્યું છે.
સુમન ! અન્યાયી પ્રવૃત્તિ કરતાંય અન્યાયવૃત્તિ ભયંકર છે. જ્યાં સુધી મનોવૃત્તિ અન્યાયનો પક્ષ કરશે ત્યાં સુધી બાહ્ય પ્રવૃત્તિમાં ન્યાય નહિ સચવાય, સચવાશે તો પણ થોડા કાળ માટે, અને તે પણ કોઈ કોઈ પ્રવૃત્તિમાં જ. સદૈવ સર્વપ્રવૃત્તિઓમાં ન્યાયનું પાલન કરવા માટે તો મનોવૃત્તિમાં ન્યાયનો પક્ષ જગડાવો પડશે અને તે માટે અહંકાર, સ્વાર્થ અને તેમાંથી પ્રગટેલા કામ, ક્રોધ, મદ, મોહ વગેરે અંતરંગ શત્રુઓને દૂર કરી તેના સ્થાને નમસ્કારભાવ, પરાર્થભાવ અને વૈરાગ્યમૂલક ક્ષમાદિ ધર્મોને પ્રગટાવવા પડશે.
સુમન ! જીવનમાં શ્વાસોચ્છવાસ કરતાંય ન્યાયવૃત્તિની આવશ્યકતા ઘણી મોટી છેઃ 'કારણ કે એક શ્વાસોચ્છવાસમાં અસંખ્યાતા સમયો વ્યતીત થાય છે અને તે પ્રત્યેક સમયે જીવ મૂળ સાત કે આઠ કર્મો બાંધ્યા જ કરે છે. આ કર્મબંધ સમયે જો મન ન્યાયના પક્ષમાં હોય તો બંધાતાં તે દરેક કર્મો શુભ બંધાય અને અન્યાયના પક્ષમાં હોય તો તે દરેક કર્મો અશુભ બંધાય છે. એનું પરિણામ એ આવે કે બાંધેલાં તે શુભકર્મોના ઉદયથી જીવને સુખસામગ્રી મળે અને તેને ભોગવતાં સુખનો અનુભવ કરી શકાય. અશુભ કર્મો બાંધ્યા પછી તેના ઉદયે ન ગમે તો પણ દુઃખનાં નિમિત્તો આવે અને તે દુઃખનો અનુભવ કરાવે.
સુમન ! એમ શ્વાસોચ્છવાસ બંધ થવાથી એક જ વર્તમાન ભવનો નાશ થાય છે, જ્યારે અશુભ કર્મોના બંધ અને ઉદયની પરંપરાથી વર્તમાન સાથે ભૂત-ભાવિ પણ અનેક જન્મો બરબાદ થાય છે. મહા મહેનતે લાંબા કાળે માનવભવ જેવી ઉચ્ચ કક્ષાને પામેલો
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૩૧