________________
કલાકો સુધી રેલ્વે વગેરેની મુસાફરીમાં અગવડો ભોગવી શકે છે. વિવિધ વાનગીઓથી પણ સંતોષ નહિ અનુભવનાર પરિસ્થિતિને વશ સૂકા રોટલાને પણ પ્રસન્નતાથી આરોગે છે. એક દિવસ પણ પ્રિયજનનો વિયોગ નહિ સહન કરનાર વર્ષો સુધી સ્વજનોથી દૂર દેશાવરમાં જીવન ગુજારી શકે છે. કોઈ તો જેના સ્નેહથી ઘેલો બને છે તેનું મુખ પણ જોવા માગતો નથી. સુમન ! આવું આવું તો આપણે ઘણું જોઈએ છીએ અને અનુભવીયે પણ છીએ. એક કાળે અનુકૂળ હોય તે બીજા કાળે પ્રતિકૂળ બની જવાનાં દૃષ્ટાન્તો ઘણાં મળે છે. અણગમતું-ગમતું અને ગમતુ-અણગમતું બની જાય છે. શું આ બધું માનસિક કલ્પના માત્ર નથી ? અને આ કલ્પનાઓને વશ થઈ ઘણું ખરું આપણે અન્યાયને માર્ગે જતા નથી ?
સુમન ! એ કારણે ન્યાયનું તાત્ત્વિક પાલન કરવા માટે આપણે વૈરાગ્યને પ્રગટાવવો પડશે. સ્વાર્થને ગૌણ કરી પરાર્થભાવને પ્રગટાવવો તે વૈરાગ્ય છે. સ્વાર્થને ગૌણ કરવા છતાં પરાર્થભાવને પ્રગટ નહિ કરીએ ત્યાં સુધી અન્યાયનું સર્વથા ઉન્મૂલન નહિ થાય. લોકાચાર કે કુળાચારથી આપણે વ્યવહારમાં ન્યાયનું પાલન કરીશું તો પણ અન્યજીવોના હિતની બુદ્ધિ નહિ પ્રગટે ત્યાં સુધી અન્યાય થવાનો. જે જે કાળે જે જે ક્ષેત્રમાં જે જે જીવમાં સ્વાર્થવૃત્તિ વધે છે અને પરાર્થવૃત્તિ ઘટે છે, તે તે કાળે તે તે ક્ષેત્રમાં તે તે જીવો એક યા બીજી રીતે અન્યાય કરતા હોય છે. એવું પણ જોવા મળે છે કે વ્યવહારમાં ન્યાયને પાળનારો એક સગો બાપ પણ જીવ્હાને વશ થઈ પોતાનાં પ્રિય સંતાનોથી ગુપ્ત રીતે સારી વસ્તુને ખાતો હોય છે. કોઈ પોતાનાં પૂજ્ય માતા-પિતાદિને રોતાં રાખીને યથેચ્છ મોજ કરતો હોય છે, વ્યવહારમાં ન્યાયને સાચવનારો પણ કોઈ નોકર-ચાકરોના નિઃસાસા લઈ પટારો ભરતો હોય છે, કોઈ છતી સંપત્તિએ રોતાંકરગરતાં દીન-દુઃખીયારાઓને તિરસ્કારતો હોય છે, કોઈ ભૂખ્યાં-તરસ્યાં પશુઓ પાસે બળાત્કારે કામ લેતો હોય છે, કોઈ અધિક કમાઈ કરનારો ઓછું રળનારા પોતાના ભાઈઓ વગેરે પ્રત્યે અનાદર કે તિરસ્કાર કરતો પોતાનું આધિપત્ય જમાવતો હોય છે, તો કોઈ નિપુણ્યક જેવો પોતે ન કમાવા છતાં હક્ક માની બીજાની કમાઈનો યથેચ્છ ભોગ કરતો હોય છે. સુમન ! એ સઘળો અન્યાય છે. પરાર્થવૃત્તિના અભાવે વ્યવહારમાં ન્યાયનું પાલન કરનારા પણ કેટલાય માનવોને અન્યાય આવાં વિવિધરૂપોને ધારણ કરીને પોતાને વશ કરે છે.
સુમન ! લોભાદિના આભિમાનિક આનંદની ખાતર ન્યાયપૂર્વક પણ ધન મેળવવું તે અન્યાય છે. કુળ તથા ધર્મને અનુરૂપ જીવી શકાય તેટલું ધન હોવા—મળવા છતાં
૧૨૮ • ધર્મ અનુપ્રેક્ષા