________________
અનેક બાબતોનો ખ્યાલ રાખવો પડે છે.
સુમન ! દરજી જેમ કપડું સીવવામાં સોય કાતર બન્નેનો ઉપયોગ કરે છે, તેમ ધર્મકથામાં ખંડન-મંડન ઉભય પદ્ધતિની જરૂર રહે છે. પણ કાતરનો ઉપયોગ સીવવાના લક્ષ્યને અનુસરીને થાય છે તેમ ખંડન પણ મંડનના લક્ષ્યપૂર્વક કરવાથી હિત થાય છે.
સુમન ! ખંડન ઓપરેશન જેવું છે, તે શાણો હિતસ્વી, બુદ્ધિમાન ડૉક્ટર નિરુપાય કરે છે અને તેમાં ખૂબ સાવધ રહે છે. તેમ ખંડન પણ નિરુપાય કરવા જેવું છે અને તે પણ મંડનની પુષ્ટિ થાય તેવી કાળજી અને કળાપૂર્વક. અન્યથા લાભને બદલે હાનિનો સંભવ વિશેષ છે.
સુમન ! જેની પાસેથી કામ લેવું હોય તેને રીઝવીને કામ લેવું તે સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ઠપકો વિશેષ કારગત નીવડતો નથી. તેમ શ્રોતાને પણ ગુણો પ્રત્યે સન્માન પેદા કરાવી ને તેનામાં ધર્મરસ જગાડવો હિતાવહ છે. બહુધા જીવો વિષય કષાયો પ્રત્યે આદરવાળા હોય છે, તેઓને ગુણોનું મહત્ત્વ સમજાવીને ધર્મમાર્ગે ચઢાવવા એ નિર્ભય ઉપાય છે.
સુમન ! તત્ત્વથી તો દોષો ટાળવાનો ઉપાય અન્ય જીવો પ્રત્યે બહુમાન પ્રગટાવવું તે છે. જેમ જેમ શરીરબળ વધે તેમ તેમ રોગનું બળ ઘટે છે, એ રીતે જીવોના જીવત્વ પ્રત્યેનું બહુમાન પ્રગટ થતાં સ્વાર્થ, અહંકાર, હિંસા, જૂઠ, અનીતિ, અસદાચાર, અસત્યનો પક્ષ, ક્રોધાદિ કષાયો, નિંદા, ઇર્ષ્યા, વૈશુન્ય વગેરે સર્વ પાપો સ્વયં ઘટવા માંડે છે. પાપાચરણ જીવોના જીવત્વની કિંમત ન સમજવાને કારણે થાય છે. જીવત્વ પ્રત્યે સન્માન જાગ્યા પછી પાપાચરણ થઈ શકતું નથી.
સુમન ! એ કારણે ધર્મકથા મુખ્યતયા બાળબુદ્ધિ, મધ્યમબુદ્ધિ અને પંડિતબુદ્ધિ, એ ત્રણ પ્રકારમાં શ્રોતા કયા પ્રકારનો છે તે જાણીને પ્રથમ સામાન્ય ગુણાનુરાગ વધે, ઉપશમ પ્રગટે, મૈત્રી, પ્રમોદ, કરુણા, ઉપેક્ષાદિ ભાવો જન્મે તેવી રીતે કરવી હિતકર છે.
સુમન ! ધર્મકથા સંવેગ પ્રગટ થાય તે રીતે વૈરાગ્ય પ્રધાન કરવાથી સ્વપરહિતકર થાય છે. સુમન ! વૈરાગ્ય એટલે સ્વાર્થવૃત્તિને તોડીને પરાર્થવૃત્તિ પ્રગટાવવી. સ્વાર્થવૃત્તિથી સર્વ પાપો વધે છે અને પરાર્થવૃત્તિથી સર્વ પાપો ઘટે છે. આ પરાર્થવૃત્તિ પણ નિરાધાર નહિ, કૃતજ્ઞતાપૂર્ણ હોવી જોઈએ.
એ માટે સુમન ! શ્રોતામાં બીજાના ઉપકારોને ઓળખવાની અને કૃતજ્ઞભાવે તેનો બદલો આપવાની વૃત્તિ પેદા કરવી એ ધર્મકથાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. સુમન ! આ વૃત્તિ સહજ પ્રાપ્ય નથી, તે માટે ક્રમિક ઉપાયો સમજાવવા જોઈએ. ૧૧૨ ૦ ધર્મ અનુપ્રેક્ષા