________________
7
પુરોવચન
જૈન શાસનમાં કોઈ પૃચ્છા કરે કે આગમિક સિદ્ધાન્તોની કોઈ ચિત્રશાળા (ART-GALLORY) હયાત છે ? તો બહુ સરળતાથી જવાબ આપી શકાય કે વાચકમુખ્યશ્રી ઉમાસ્વાતિ આચાર્ય રચિત શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અને તેનું સ્વોપજ્ઞ ભાષ્ય એ શબ્દાત્મક સૂત્ર-ચિત્રોરૂપે બેનમૂન ચિત્રશાળા છે જેમાં અનેક જૈનાગમોનાં મનોહર સૂત્ર-ચિત્રો દૃષ્ટિગોચર થાય છે.
શ્રી તત્ત્વાર્થસૂત્ર એ જૈન સિદ્ધાન્તપુષ્પોનો મઘમઘતો બગીચો છે. અથવા વિવિધ જૈન સિદ્ધાન્ત વૃક્ષોનું ઉદ્યાન છે.
કદાચ શંકા થાય કે શું જૈન ધર્મનાં બધા જ સિદ્ધાન્તો તત્ત્વાર્થસૂત્રમાં આવી ગયા ? જુદા જુદા નયથી જવાબ હા અને ના બંને આપી શકાય છે. મુમુક્ષુઓની દૃષ્ટિએ જોઈએ તો રત્નત્રયીની આરાધના માટે ઉપયોગી એવા લગભગ તમામ સિદ્ધાન્તોનું જ્ઞાન આ શાસ્ત્રથી પ્રાપ્ત થાય છે માટે જવાબ ‘હા' આપી શકાય. બીજુ બાજુ વિશ્વવ્યવસ્થા (COSMOLOGY)ની દૃષ્ટિએ જોઈએ તો જવાબ ‘ના’- માં પણ આપી શકાય. શાસ્ત્રકાર આચાર્યએ પોતે જ સમ્બન્ધકારિકા ૨૨માં જણાવ્યું છે કે અર્હચનના એક દેશનું પોતે લઘુગ્રન્થરૂપે સંક્ષેપથી નિરૂપણ કર્યું છે. જો કે એ લઘુગ્રન્થમાં પણ અર્થસભરતા વિરાટ છે. ૨૩ થી ૨૫ કારિકામાં શાસ્ત્રકારે પોતે જ જિનવચનનો પૂર્ણપણે સંગ્રહ કરવાનું કાર્ય કેટલી હદે અશક્ય છે એનું નમ્રભાવે વાસ્તવિકપણે નિદર્શન કરી દીધું છે. શ્વેતામ્બર જૈનો પાસે આજે પણ ભગવાનનાં ભાખેલા આગમશાસ્ત્રો મોજૂદ છે એટલે શ્રી તત્ત્વાર્થસૂત્રનું અધ્યયન શ્વેતામ્બરોમાં વિરાટ અધ્યયનક્ષેત્રનું એક અંગ છે. જે સમ્પ્રદાય પાસે આગમો છે જ નહીં એના માટે તત્ત્વાર્થસૂત્રમાં એમનું આખુ અધ્યયનક્ષેત્ર સમાઈ જાય છે અને તેથી તે સમ્પ્રદાયમાં તેના ઉપર અતિશય ભાર મુકાયેલો દેખાય તેમાં કંઈ આશ્ચર્ય નથી.
પ્રશ્ન થાય કે જ્યારે ગ્રન્થકર્તા પોતે પ્રાયઃ દશપૂર્વધર છે ત્યારે તેમના આ ભાષ્યયુક્ત સૂત્રગ્રન્થમાં કેમ કોઈ પૂર્વ-શાસ્ત્રોની છાંટ દેખાતી નથી ? કેમ કોઈ તન્ન-મન્ત્ર-વિદ્યાઓનું નિરૂપણ નથી ? કેમ કોઈ આચાર-સંહિતાનું માહિતીપ્રદ વિવેચન નથી ? કેમ કોઈ ધ્યાનાકર્ષક ગણિતાનુયોગનું વર્ણન નથી ? કેમ કોઈ સુશ્લિષ્ટ ધર્મકથાનુયોગનું દિગ્દર્શન પણ નથી ? કેમ કોઈ માર્ગાનુસારી ગુણોનું ઉદ્ભાવન ઉપલબ્ધ નથી થતું ?
આમ તો આ બધા પ્રશ્નનું ટુકું સમાધાન શાસ્ત્રકારે ‘અર્હદ્ વચન એકદેશના સંગ્રાહક લઘુગ્રન્થ’ રૂપે નિર્દેશ આપવાથી કરી જ દીધું છે. તેમ છતાં ‘ઉત્પાર-વ્યય-ધ્રૌવ્યયુń સત્’ - ‘અર્પિતાનર્પિતસિદ્ધેઃ’ ‘स्निग्धरुक्षत्वाद् बन्धः’ વગેરે સૂત્રો અને તેના ભાષ્યનું જો ઊંડાણથી રિશીલન કરીએ તો ઉપરોક્ત પ્રશ્નોનું સંતોષકારક સમાધાન પ્રાપ્ત થાય છે.
-