________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
ગાથાર્થ: તેવું રાજ્ય, તેવો વિભવ, તેવું ચતુરંગ સૈન્ય, તેવા સ્વજનો હોવા છતાં પણ કૌશાંબી નગરીનો રાજા રોગોથી રક્ષણ ન કરાયો. (૩૧). 'तथा' शब्दः सर्वत्रातिशयख्यापनपरो द्रष्टव्यः, शेषस्त्वक्षरार्थः सुगमो, भावार्थस्तु कथानकादुच्यते, तश्छेदम्
ટીકાર્ય તથા શબ્દ દરેક જગ્યાએ અતિશયતાનો સૂચક છે એમ જાણવું. અર્થાત્ તેવું રાજ્ય એટલે ઉત્કૃષ્ટ રાજ્ય, ઉત્કૃષ્ટ વિભવ, ઉત્કૃષ્ટ ચતુરંગ સૈન્ય વગેરે. ગાથાનો ભાવાર્થ કથાનકથી કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે -
કૌશાંબીપુરી રાજાનું કથાનક અને આજ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મધ્યખંડમાં પૂર્વદિશામાં યમુના નદીના સંગથી શોભતી કૌશાંબી નામની નગરી છે. જેમાં રાજાના ઘરો પણ અમૃતના લીંપણથી લીંપાયેલ છે અથવા તે નગરીમાં કોઈના પણ ઘરે લક્ષ્મીની કેટલી સંખ્યા છે તે જણાતી નથી. અર્થાત્ તે નગરીના લોકો પાસે અગણિત ધન છે અને તે નગરીમાં ઇન્દ્રની જેમ પ્રસિદ્ધ, કરાયેલ દાનના પ્રવાહથી હર્ષિત થયેલ, પંડિતજનને પ્રિય, કરાઈ છે ગુરુની સેવા જેના વડે એવો ચંદ્રસેન નામનો રાજા હતો. તેના વિશાળ કુળમાં ત્યાગી, શૂરવીર, દક્ષ, કલાપ્રિય અને વિનય સંપન્ન સુલોચન નામે પુત્ર હતો. હવે કોઈક વખત ભરવસંત સમય પ્રવૃત્ત થયે છતે બહાર ગમન નિમિત્તે રાજા લોકવડે વિનંતિ કરાયો. અન્ય કાર્યોમાં વ્યગ્ર એવા રાજાએ સુલોચનને ત્યાં મોકલ્યો અને ભંડારીઓને શિખામણ આપી કે આ જે પ્રમાણે કહે તે પ્રમાણે તમારે ધનનો વ્યય કરવો. પછી તે સુલોચન બહાર ગયો અને દાન આપીને ભોજન કરીને, લાંબો સમય ક્રિીડા કરીને પછી અધિકારીઓની સાથે પાછો ફરીને પોતાના સ્થાને આવ્યો. માર્ગમાં જતા એક યાચકને જ એક લાખ દીનાર દાન અપાયું તેમ રાજાને કહ્યું. (૮) પછી ગુસ્સે થયેલ રાજાએ કુમારને કહ્યું કે, આ દાનના કાર્યમાં તેં વિરુદ્ધ કર્યું છે. તારા આવા પ્રકારના અસવ્યયને કોણ પૂરશે ? પછી અપમાનિત થયેલ સુલોચન રાત્રીના પ્રથમ પહોરમાં શય્યામાં રહેલો વિચારે છે કે મારા પર પિતા ગુસ્સે થયા છે. પોતાના પરાક્રમથી ઉપાર્જન કરેલા ધન વડે ધનીનો ઉદાર થવાનો આ ગુણ યથાર્થ છે. પરંતુ પરદ્રવ્યનો ભોગવટો કરનારને ઉદાર થવાનો તે જ ગુણ મહાદોષ રૂપ છે. જેઓએ બાળપણ વિતાવ્યું છે તેવાઓને માતાના સ્તનપાનની જેમ પિતાની લક્ષ્મીનો પરિભોગ પણ ઉચિત નથી કેમકે સામાન્યજનને પણ હસવા યોગ્ય થાય છે. તેથી આજથી માંડીને પોતાની ભુજાથી ઉપાર્જન કરેલ સુવર્ણાદિનો ભોગ કરવો એ પ્રમાણે વિચારીને અર્ધરાત્રીએ છૂપી રીતે જ કુમાર તલવાર લઈને નીકળ્યો અને થોડા દિવસો પછી બીજા રાજ્યમાં પહોંચ્યો અને તે રાજ્યના કોઈ એક નગરની બહાર વનનિકુંજમાં ધાતુને ધમતા એક ધાતુવાદીઓના વૃંદને જોયું.
પછી “અહીં વસુધારા પડો' એમ કહીને તેઓ વડે કરાયેલ છે સન્માન જેનો એવો તે કુમાર એક દેશમાં (સ્થાનમાં) બેઠો. નિપુણ સુલોચને ધાતુવાદીઓની ભાષામાં તેઓની પાસે રહેલી ઔષધીઓની સર્વપણ સામગ્રી પૂછી અને પવનને ધમતા તમારે કેટલો વખત થયો ? અને કોઈપણ સિદ્ધિ થઈ છે ? એ પ્રમાણે બીજી પણ હકીકત પૂછે છતે આ કાર્યમાં આ કોઈ સાભિપ્રાય* મહાનુભાવ છે એમ જાણીને ધાતુવાદીઓએ ઔષધીઓની યથાસ્થિતિ જણાવી. ધમણને ફેંકતા ફેંકતા કોઈક બાળપણમાંથી યુવાન થયો અને કોઈક યુવાનમાંથી વૃદ્ધ થયો અને પિતાના ધનનો ક્ષય અને ક્લેશ થયો અને પર્વત જેવડો આ ભસ્મનો ઢગલો થયો
સાભિપ્રાય = આપણને જેમ સુવર્ણ સિદ્ધિ કરવાનો અભિલાષ છે તેમ આને પણ સુવર્ણ સિદ્ધિનો અભિલાષ હોય એવો આ મહાનુભાવ છે.