________________
લેખકના અંતરની વાત...
કાળનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. ખૂબ ઝડપથી માનવની જીવનશૈલીના કિનારાને કાળપ્રવાહનું ઘોડાપૂર મોડ આપી રહ્યું છે. માનવ - જીવનના કિનારાનો તીવ્રતાથી બદલાતો મોડ એ કાળની પરિવર્તક - શક્તિનો પરિચય આપે છે.
વર્તમાનમાં વિજ્ઞાનવાદ - નાસ્તિકવાદ - જડવાદ - જમાનાવાદ ભોગવાદ આદિ અનેક વાદોના વાદળોના પ્રચુર પ્રસાર અને પ્રભાવથી આર્ય પ્રજાના માનસ પટ ઉપર રાષ્ટ્રભાવના, સંસ્કૃતિ અને ધર્મ - એ ઉત્તરોત્તર મહાન્ તત્વો રૂપી સૂર્યની તેજસ્વિતા હતપ્રભ થયેલી જણાય છે. વિજ્ઞાનવાદે સમ્યગ્ દર્શન ઉપર હુમલો કર્યો છે. મેકોલે - પદ્ધતિના આધુનિક શિક્ષણે સમ્યગ્ જ્ઞાન ઉપર કુઠારાઘાત કર્યો છે તો સમ્યગ્ ચારિત્ર ઉપર શોખ અને સુખશીલતાપોષક વૈજ્ઞાનિક સાધનોએ ઘેરી અસર પાડી છે. અશાંત - ઉદ્વિગ્ન - ભયાન્વિત બનાવતી શસ્ત્રોની દોટ અમર્યાદ બની છે, ત્યારે શાંત ઉપશાંત પ્રશાંત બનાવતી શાસ્ત્રાધ્યયનની માત્રામાં ઘટાડો વર્તાઈ રહ્યો છે.
આવા ભીષણ કાળમાં પણ મડદાંનેય પ્રાણ પૂરે, વિકૃતિના ઘનઘો૨ મેઘાડાંબર વચ્ચે ય પ્રકૃતિની પ્રભા રેલાવે એવી, ઝીંકાઈ રહેલ ઝંઝાવાતમાં ય ઘટાદાર વટવૃક્ષની ઓથ આપી વિશ્વાસનો શ્વાસ લેવા પ્રેરે એવી અને ઘોર અંધકારને ય ઉલેચે એવાં આશાકિરણરૂપ વાત એ છે કે, આજે ય અનેક આત્માઓ ભર યુવાવયમાં જ અમાન - સમાન સંપત્તિ અને ભૌતિક સુખોને છોડીને જિનશાસનના પ્રધાન અંગભૂત સર્વવિરતિ - સંયમમાર્ગનો અંગીકાર કરે છે. અને તેની કઠોર - સાધના અનેક આત્માઓ હર્ષવિકસિત વદને કરી રહ્યા છે. આ ચારિત્રપાલનનું એક પ્રાણપૂરક તત્ત્વ સ્વાધ્યાય છે. અને તે સ્વાધ્યાય મૂળ સ્વરૂપે શાસ્ત્રાધ્યયન વિના અસંભવિત પ્રાયઃ છે. મૂળ સ્વરૂપે શાસ્ત્રોનું અધ્યયન તેના સાધન ગ્રંથો જેવા કે - વ્યાકરણ, ન્યાય, પ્રકરણ, કાવ્ય આદિના અધ્યયન વિના સફળ અને સરસ બનતું નથી.
-
આમ જ્યારે અનેક તેજસ્વી મુમુક્ષુઓ યુવાવયમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી રહ્યા છે ત્યારે તેઓને અને શ્રાવક વર્ગમાં પણ યોગ્ય જિજ્ઞાસુઓને શાસ્ત્રાધ્યયનમાં પ્રધાન કારણભૂત એવું વ્યાકરણનું અધ્યયન અને તે વ્યાકરણના અધ્યયનમાં અતિ ઉપયોગી એવા આ ન્યાયસંગ્રહના અનુવાદ - ગ્રંથનું પ્રકાશન ખૂબ જ હિતકર બનશે એમ માનુ છું. અને જ્યારે આપણા કોઈક વિશિષ્ટ પુણ્યોદયે આપણી પાસે કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ સ્વયં બાળજીવો ઉપર કૃપાન્વિત થઈને રચેલું - અતિ ક્લિષ્ટ અને ગુરુપ્રક્રિયાવાળા પાણિનિ - વ્યાકરણના વિકલ્પરૂપે બની શકે એવું - અક્લિષ્ટ અષ્ટાધ્યયમય વિષયવાર સૂત્રકૃતિયુક્ત અને અપેક્ષાએ ઘણી સરળ પ્રક્રિયાન્વિત સિદ્ધહેમ શબ્દાનુશાસન / વ્યાકરણ શાસ્ત્ર - અખંડ સ્વોપજ્ઞ લઘુ – મધ્યમ - બૃહદ્ - વૃત્તિ સાથે વિદ્યમાન છે, ત્યારે ગિર્વાણ - ગિરા - સંસ્કૃત શીખવા
અન્ય વ્યાકરણનો આશ્રય કરવો તે પોતાની પાસે જ મહા નિધાન હોવા છતાં ધન માટે અન્યત્ર ફાંફા મારવા તુલ્ય છે.
કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ આ વ્યાકરણની રચના કર્યા બાદ સિદ્ધરાજ જયસિંહે આ ગ્રંથને ગજ - અંબાડી પર આરૂઢ કરીને પોતાના મહેલ પર વાજતે - ગાજતે આડંબરપૂર્વક વરઘોડા સહિત લાવી ભક્તિ - સત્કાર કરેલો. એની અનેક પ્રતિઓ કરાવી દેશ - વિદેશમાં પ્રચાર માટે
११