________________
અસ્વાધીન (અ ંદા) ભોગને જે ભોગવતા નથી તે ત્યાગી નથી કહેવાતા – આ વિષયમાં અહીં સુબન્ધુમંત્રીની કથા છે. ચંદ્રગુપ્ત જ્યારે રાજા થયો ત્યારે ચન્દ્રગુપ્તના રાજ્યમાં નંદરાજાનો સુબંધુ નામનો મંત્રી હતો જે ચાણક્ય પ્રત્યે દ્વેષને ધારણ કરતો હતો. આથી ચન્દ્રગુપ્તરાજાની નજરમાંથી ચાણક્ય ઊતરી જાય એ માટે તે ચાણક્યનાં છિદ્રો જોયા કરતો હતો. નંદરાજાને હણીને ચાણક્યે ચન્દ્રગુપ્તને રાજ્ય અપાવ્યું હતું, આથી ચન્દ્રગુપ્ત ચાણક્યને ગુરુતુલ્ય માનતો હતો. તેથી ચાણક્ય માટે સીધેસીધી તો ફરિયાદ ન કરાય. રાજ્ય કહેવાય ચન્દ્રગુપ્તનું, પણ રાજ્ય ચલાવવાનું કામ તો ચાણક્ય જ કરતો હતો. આથી સુબન્ધુને ચાણક્ય ઉપર ભારે ઇર્ષ્યા હતી. એકવાર અવસર પામીને સુબન્ધુમંત્રીએ રાજાને કહ્યું કે ‘તમારા ચિત્તમાં ભલે અમારું સ્થાન ન હોય પણ સેવકનું કર્તવ્ય છે કે સ્વામીના હિતની ચિંતા કર્યા વગર ન રહેવું....' આવું બોલનાર તમને તો સરળહૃદયી લાગે ને ? આ પ્રમાણે રાજાને આવર્જિત કરીને કહ્યું કે - તમારી માતાને ચાણક્યે મરાવી હતી. રાજાએ એ વાતની ખાતરી માટે પોતાની ધાવમાતાને પૂછ્યું. ધાવમાતાએ કહ્યું કે ખરી વાત છે. પરંતુ એ વખતે રાજાએ કારણ ન પૂછ્યું તેથી ધાવમાતાએ કાંઇ સ્પષ્ટતા ન કરી. તેથી રાજાને ચાણક્ય પ્રત્યે અણગમો થયો. રાજ્યના કાર્ય માટે ચાણક્ય જ્યારે રાજા પાસે આવ્યો ત્યારે રાજાએ ચાણક્ય સામે નજર પણ ન કરી, મોઢું ફેરવી લીધું. ચાલાક ચાણક્ય સમજી ગયો. રાજા નારાજ થયા છે અને આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે–એમ સમજીને પોતે અનશન સ્વીકારવાનું નક્કી કર્યું. પોતાના પરિવારના સભ્યોને આપવાનું ધન વગેરે આપી દીધું. એક સુગન્ધી દ્રવ્યવિશેષ તૈયાર કરી તે અંગેની સૂચનાનો પત્ર લખીને તે દ્રવ્યની સાથે તે પત્ર એક ડબીમાં મૂક્યો. ડબીને પાછી એક પેટીમાં મૂકી. એ પેટી બીજી પેટીમાં એમ ચાર પેટીમાં ડબી મૂકી અને તે મોટી પેટીને એક ગુપ્ત જગ્યામાં ખીલા મારીને મૂકી. અન્ને પરિવારજનોને હિતશિક્ષાદિ આપીને ગોકુળમાં છાણાની વચ્ચે ઇંગિનીમરણથી અણસણ સ્વીકાર્યું. રાજાએ ધાવમાતાને પૂછ્યું કે ચાણક્ય ક્યાં છે. ધાવમાતાએ બધી હકીકત જણાવી, માતાને મારવાનું કારણ પણ કહ્યું અને રાજાની નારાજી જાણી ચાણક્યે અણસણ સ્વીકાર્યું છે - એ પણ કહ્યું. એ સર્વ વૃત્તાન્ત જાણી રાજાને પોતાની ભૂલનો પસ્તાવો થયો. પરિવારસહિત ચાણક્યને પાછા બોલાવવા ગયા. ગોકુળમાં આવીને ચાણક્યની ક્ષમાપના કરી. બહુમાનપૂર્વક નગરમાં પાછા ફરવા જણાવ્યું. ચાણક્યે કહ્યું કે મેં સર્વપરિત્યાગ કરીને ભગવાનના શાસનનું અણસણ સ્વીકાર્યું છે હવે પાછા ન ફરાય. એમ કહીને પાછા ધ્યાનમુદ્રામાં સ્થિર થઇ ગયા.
(૮૯)