________________
સ. આ રીતે તો આજ્ઞા પાળવાનું કામ અઘરું છે.
અઘરું કશું નથી. તમે જાતે સહેલાઈથી પાળો છો. મોટી મોટી ઓફિસો કે મીલો એક જ માણસ ચલાવે, હજારો માણસોને પ્રવર્તાવે તે આશાના બળે જ ને? હોસ્પિટલોમાં સિસ્ટરો, વોર્ડબોય બધા જ આજ્ઞામાં હોય ને ? ત્યાં બધે વ્યવસ્થિત તંત્ર હોય છે ને ? બેગના ચોકઠામાં ગોઠવેલો સામાન જે છૂટો કરવામાં આવે તો લઈ જવો ફાવે ? એના જેવું જ આજ્ઞાનું તંત્ર અમારે ત્યાં છે. આ તો આજ્ઞાને બદલે ઈચ્છા મુજબ જીવવા માંડીએ તો તંત્ર ખોરવાઈ જ જાય ને? અનિષ્ટથી બચવા અને ઈષ્ટ સ્થાને પહોંચવા માટે ગુરુની આજ્ઞા છે. ભમરાની જેમ આહાર લીધો ત્યારે કહેવાય કે જ્યારે દાતાને કોઈ પણ જાતની પીડા ન થાય. મુસાફરી માટે રાખેલો નાસ્તો પૂરતા પ્રમાણમાં વહોરી લઈએ તો શ્રાવકને પીડા થવાની સંભાવના છે ને?
સ. સાધુભગવત ભમરાની જેમ ભિક્ષા લે, તો શ્રાવક કરતાં ભમરો સારો કહેવાય? - અહીં સાધુને ભમરાની ઉપમા આપી છે, ભમરાને સાધુ નથી કહ્યો કે જેથી તેને શ્રાવક કરતાં સારો માનવો પડે. અને સાધુને ભમરાની ઉપમા આપીને ભમરાની પ્રશંસા નથી કરી. તેમાં જે અનિયત વૃત્તિ છે એની સાથે સરખામણી કરી છે. ચંદ્રમુખી સ્ત્રી કહીએ ત્યારે ચંદ્રની પ્રશંસા નથી કરાતી, ચંદ્રની સૌમ્યતા વગેરે ગુણવાળા સ્ત્રીના મુખની પ્રશંસા છે. દષ્ટાન્ત હંમેશાં અમુક અપેક્ષાએ અપાય છે. આ વસ્તુ પહેલાં પણ કહેવાઈ ગઈ છે. બાકી ભમરો તો તિર્યંચ છે, અજ્ઞાનની માત્રા તેનામાં ઘણી હોય છે અને પુષ્પને કિલામણા ન થાય માટે દયાના કારણે અલ્પ રસ લે છે એવું કાંઈ નથી. માત્ર ભવપ્રત્યયિકી અનિયતવૃત્તિ છે એવી અનિયત વૃત્તિ સાધુની. પુરુષાર્થપ્રત્યયિકી હોય છે – એટલું જણાવવાનું તાત્પર્ય છે.
આ રીતે કોઈ પણ જીવને પીડા ન પહોંચાડે, પોતાનો નિર્વાહ કરે, યથાકૃત આહાર મળે એવાં દાતાનાં કુળો શોધે અને એવાં કુળો મળ્યા પછી ત્યાંથી પૂરતું ઉપાડી લાવવાની વૃત્તિ ન રાખે. આવા સાધુપણા પ્રત્યે બહુમાન જાગે ને? કોઈને પણ પીડા આપ્યા વગર જીવી ન શકાય એવું ગૃહસ્થપણું સારું કે જીવવા માટે પણ કોઈને પીડા આપવી ન પડે એવું સાધુપણું સારું ? ગૃહસ્થપણામાં પાપનો પાર નથી. આજે તો બોલે કે “અવિરતિના યોગે નિયમ નથી લેતો એટલું જ, બાકી પાપ કરતો
(૭૫)