________________
येषामभिषेककर्म कृत्वा, मत्ता हर्षभरात् सुखं सुरेन्द्राः । तृणमपि गणयन्ति नैव नाकं, प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥
જેઓના જન્માભિષેકકર્મને કરીને હર્ષના સમુદાયથી મસ્ત બનેલા દેવેન્દ્રો પોતાના સ્વર્ગને તણખલાજેવું પણ ગણતા નથી તે શ્રી જિનેશ્વર દેવો કલ્યાણ-મોક્ષ માટે થાઓ. ત્યાં ગયેલા દેવો પણ જો પોતાના સુખને ઘાસથી તુચ્છ માને તો આપણે મૂરખ છીએ કે ત્યાં જવા માટે પ્રયત્ન કરીએ ? ‘ચારિત્ર વગર મુકૃતિ નહિ’ કે ‘ચારિત્ર વગર દેવલોક નહિ' ? દેવલોક એ સાધુપણાની સાધનાનું ફળ નથી, સાધનાની અપૂર્ણતાનું સૂચક છે. સાધુભગવન્ત દેવલોકમાં જાય તો સમજી લેવું કે આરાધના અધૂરી રહી માટે દેવલોકમાં ગયા. આરાધના પૂરી થઈ હોત તો મોક્ષમાં જ જાત. એક વાર અમદાવાદ જ્ઞાનમંદિરમાં આચાર્યભગવન્ત બિરાજમાન હતા ત્યારે આ લોક કે પરલોકના સુખના આશયથી ધર્મ ન કરવાની વાત વ્યાખ્યાનમાં ચાલતી હતી. તે વખતે એક ભાઈએ પૂછ્યું કે - સાધુભગવન્તો પણ સાધુપણું પાળીને દેવલોકમાં જાય છે ને ? ત્યારે આચાર્યભગવન્તે કહ્યું હતું કે–સાધુપણું પાળતાં ન આવડે તો દેવલોકમાં જાય, બાકી પાળતાં આવડે તો સાધુભગવન્ત મોક્ષમાં જ જતા રહે. લોકમાં પણ, જેઓ કામ અધૂરું મૂકે તેને કરતાં ન આવડયું - એમ કહેવાય છે ને ? તેમ સાધુભગવન્તની પણ આરાધના અધૂરી રહી જાય તો માનવું પડે ને કે તેમાં ખામી રહી છે ? દેવલોકમાં જવા માટે સાધુપણાની જરૂર નથી. સમ્યક્ત્વમાત્રથી પણ દેવલોકમાં જઈ શકાય છે. આગળ વધીને મિથ્યાત્વની હાજરીમાં પણ દેવલોકમાં જઈ શકાય છે. તેથી સર્વવિરતિનો ઉપદેશ દેવલોકમાં જવા માટે નથી આપ્યો. આ પાંચમા આરામાં આ ક્ષેત્રમાંથી સીધા મોક્ષે તો જઈ શકાવાનું નથી અને દેવલોકમાં તો સમ્યક્ત્વમાત્રથી પણ જઈ શકાય છે છતાં પાંચમા આરાના જીવોને સાધુ થવાનો ઉપદેશ ભગવાને શા માટે આપ્યો – એનો વિચાર કર્યો છે ? પાંચમા આરામાં પણ સાધુપણું મોક્ષે જવા માટે જ પાળવાનું છે. મોક્ષ ભલે ન મળે પણ મોક્ષને નિકટ બનાવવાનું કામ, એક-બે ભવમાં મોક્ષને નિશ્ચિત કરવાનું કામ આ સાધુપણું જ કરે છે. સર્વવિરતિથી સર્વકર્મથી રહિત બનાય છે - એ યાદ રાખવું.
સ. મનુષ્યપણું પણ દુર્ગતિ ? શાસ્ત્રમાં મનુષ્યજન્મ વખાણ્યો છે ને ?
એ તો સાધુપણું અપાવે છે માટે વખાણ્યો છે, મેળવવાજેવો છે માટે નથી વખાણ્યો. મેળવવાજેવો મોક્ષ કે મનુષ્યપણું ? મનુષ્યપણું દુર્લભ છે – એ પ્રમાણે
(૧૬)