________________
૪
કામનો આવેગ આવે ત્યારે માણસ બધું ભૂલી જાય છે. આથી તેને ભાનમાં લાવવા માટે આવા શબ્દો કહેવા પડે ને ? ત્યાગ કરેલી અવિરતિ વમેલા આહાર જેવી જુગુપ્સનીય છે. આથી જ શ્રી રાજીમતીજી કહે છે કે હું ભોગરાજાની પુત્રી છું અને તમે અંધકવિષ્ણુના પુત્ર છો. આપણે બન્ને વિષયાધીન થઇશું તો ગંધનકુળ જેવા નીચ કુળના થઇશું.... પોતાની કુલીનતા ઉપર ઘા પડે એવાં વચનો કોઈને પણ વસમાં લાગે ને ? છતાં પણ યોગ્ય જીવોને પોતાની કુલીનતાનું ભાન અકાર્યથી અટકાવનારું બને છે. આથી જ તે કહે છે કે ઉત્તમકુળમાં જન્મેલા પોતાની પ્રતિજ્ઞાનું ખંડન કરતા નથી. ગન્ધનજાતિના સર્પોની જેમ વમેલાને ફરી ગ્રહણ ન કરતા તેઓ જરૂર પડ્યે પોતાના પ્રાણ ત્યજી દે છે. આથી પ્રાણો કરતાં પણ કીમતી એવા સંયમમાં કોઇ પણ જાતની મલિનતા ન આવે, અધૂરાશ ન આવે, દોષનો લવલેશ ન લાગે તે રીતે સંયમમાં સ્થિર થઇને તું મોક્ષમાર્ગમાં ગમન કર. હવે જો શ્રી રથનેમિજી એમ કહે કે હું તો સ્વસ્થ જ હતો પણ આવા સુંદર રૂપદર્શનથી પાછો મને એવો ભાવ જાગ્યો તો તેમાં હું શું કરું ? આજે ઘણાઓ કહે છે ને કે મન તો ન હતું પણ વિષય સામે આવ્યો તો પાછું મન થઇ ગયું... તો તેના નિરાકરણમાં નવમી ગાથા છે. આજે પાપ કરનારા મોટાભાગે પોતાની જાતને નિમિત્તવાસી કહીને જ બચાવ કરતા હોય છે ને ? જાણે કે પોતે રાગદ્વેષથી વાસિત છે જ નહિ, નિમિત્તો આવી-આવીને જ રાગદ્વેષને ઊભા કરે છે !
જ
સ. નિમિત્ત મળે તો રાગદ્વેષ ઉછાળો મારે ને ?
પિત્તનો ઉછાળો આવે તો શું કરો ? દબાવવા માટે મહેનત કરો કે કાઢવા ? ચક્કર આવતા હોય તો આજુબાજુમાં જે મળે તે પકડીને સ્થિર થવા માટે મહેનત કરો કે પડી જાઓ ?
સ. એના કરતાં નિમિત્તથી દૂર રહેવું સારું ને ?
એ તો તમને પહેલાં જ કહ્યું કે સંસારમાં રાગનાં નિમિત્તો ઘણાં છે માટે તેનો ત્યાગ કરીને સાધુપણામાં આવી જવું. પરંતુ તમારે દ્વેષનાં નિમિત્તોથી દૂર ખસવું છે અને રાગનાં નિમિત્તોની વચ્ચે રહેવું છે. આપણે તો એ કહેવું છે કે નિમિત્તો ઊભાં નથી કરવાં પણ જો નિમિત્ત સામેથી આવી જાય તો રાગ પણ નથી કરવો ને દ્વેષ પણ નથી કરવો. જો નિમિત્તથી દૂર જ રહેવું હોય તો સૌથી પહેલાં સંસારનો ત્યાગ કરવો પડશે. જ્યારે તમારે તો સંસારમાં રહીને જ વૈરાગ્ય લાવવો છે ને ? પૃથ્વીચંદ્રગુણસાગરની જેમ કેવળજ્ઞાન પામવું છે ને ?
(૧૩૦)