________________
પરિણામ આચારના પ્રેમમાંથી પ્રગટે છે. “સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવું છે - એવું તો ધર્મદેશના આપનારા બોલે, તમારે શું બોલવાનું? “સંસાર છોડવો છે અને સંયમ લેવું છે' એમ જ ને ? કોઈ વ્યાપારી પોતાની વસ્તુની જાહેરાત કરે કે “આ વસ્તુ લેવા જેવી છે, ટકાઉ છે, વસાવવા જેવી છે ત્યારે તમે શું કરો ? તમે પણ એની જેમ લેવાજેવી છે' એમ બોલો કે “લેવી છે' એમ કહીને લેવાની મહેનત કરો ? પૈસા ન હોય, ઓછા હોય તો વસ્તુ વગર ચલાવી લો અથવા ઓછી કિંમતવાળી કામચલાઉ વસ્તુ ખરીદી લો છતાં નજર તો ટકાઉ, કીમતી વસ્તુ તરફ જ હોયને? લેવી છે પણ લેવાતી નથી એનું દુઃખ હોય ને ? કોઈ પૂછે તો શું કહો ? “લેવી હતી તો પેલી જ, પણ શું કરીએ ? આપણી તેવડ નહિ એટલે આ લઈ આવ્યા!' એમ જ ને ? જ્યારે અહીં દેશવિરતિ લેનારને સર્વવિરતિ ન લેવાયાનું દુઃખ હોય ? દેશવિરતિ ઉચ્ચરીને પ્રભાવના લઈને ઘરે જનાર, ઘરના લોકો આગળ પ્રભાવનાનાં વખાણ કરે કે સર્વવિરતિ ન લીધાનું દુઃખ વ્યક્ત કરે ? વ્યક્ત કદાચ ન પણ કરે પરંતુ સર્વવિરતિ ન લીધાનું દુઃખ એના હૈયે તો સાલે ને? સાધુપણું ન લીધાનું દુઃખ ન હોય અને શ્રાવકપણાનો જેવોતેવો પણ ધર્મ કર્યાનો સંતોષ હોય તેવા ધર્મનું સ્વરૂપ જ સમજ્યા નથી અથવા તો ધર્મના સાચા અર્થપણાને પામ્યા નથી-એમ માનવું પડે. માર્ગાનુસારિપણાના ધર્મની શરૂઆત પણ સંસારની અસારતા સમજાવાના કારણે સંસારને છોડવાની ભાવનાથી થાય છે, જ્યારે આજે દેશવિરતિ-શ્રાવકપણાનો ધર્મ કરીને પણ સંસારમાં ગોઠવાવાની ભાવના હોય એવા ધર્માત્માઓ આગળ સર્વવિરતિની વાત કઈ રીતે કરવી ?
સ. સર્વવિરતિમાં દોષ વધારે લાગે ને?
સર્વવિરતિમાં તો મહાલાભ થાય. સર્વવિરતિમાં ગાફેલ રહે તો જ દોષ લાગે. ઉપયોગ રાખે, સાવધાની રાખે એને દોષ ન લાગે. સાવધાની ન રાખે તો નાનો પણ નિયમ ભંગાયા વગર ન રહે. તમે દોષના ભયે સંસારમાં રહ્યા છો કે સંસારમાં રહીને પણ ધર્મ કરી શકાય છે, સાધુપણા વગર ચાલે એવું છે માટે ત્યાં રહ્યા છો? કરોડોનો ધંધો કરનાર લાખો ગુમાવે, નોકરિયાતને કાંઈ ચિંતા નહિ-એમ કહી ધંધો કરવાનું બંધ કર્યું ? શક્તિ ન હોય તો કેળવી લે, આવડત ન હોય તો મેળવી લે, કોઈકના હાથ નીચે કામ કરી અનુભવ લે અને પછી પોતાનો ધંધો ચલાવે; પણ ગુમાવવાના ભયે કમાવાનું બંધ કરનારા કોઈ મળે ? અહીં જ કેમ આવા વિચાર આવે છે? સર્વવિરતિમાં દોષો લાગવાની સંભાવના હોય તો દોષો ટાળવા માટે મહેનત કરવાની કે સર્વવિરતિને ટાળીને બેસી જવાનું?
(૧૦)