________________
આવો સવાલ સાંભળતાં જ ધનપાલ આવેશપૂર્ણ સ્વરમાં બોલ્યો : “આ દહીં ત્રણ દિવસનું છે. બોલો, શું આમાં પણ જીવ ઉત્પન્ન થઈ ગયા છે ? એવું લાગે છે કે તમે લોકો નવા-નવા જ દયાવ્રતધારી બન્યા છો. લેવું હોય તો લો, નહિ તો જલદી જ અહીંથી બીજે ક્યાંક જાઓ.”
એક સાધુએ ખૂબ જ શાંત અને મૃદુ સ્વરમાં કહ્યું : “વિન્દ્વન્ ! જૈનશ્રમણોને માટે મધુકરી સંબંધમાં જે આચાર-સંહિતા બનેલી છે. તેની અનુપાલનામાં આ પ્રકારની જાણકારી કરી લેવી, અમારું અનિવાર્ય કર્તવ્ય છે. બે દિવસ પછી દહીં વગેરે ગોરસ(દૂધની વસ્તુ)માં જીવોની ઉત્પત્તિ થઈ જાય છે.' આ જ્ઞાનીઓનું કથન છે.”
મહાકવિ ધનપાલે આશ્ચર્યપૂર્ણ મુદ્રામાં કહ્યું : “આ નવી વાત તો મેં મારા જીવનમાં પહેલી વાર આપના મોઢેથી સાંભળી છે. તો આપ આ દહીંમાં તે જીવોને બતાવો. જેથી અમને પણ આપની વાતની ખરાઈ (સત્યતા) પર વિશ્વાસ થઈ જાય.''
તે બંને સાધુઓએ કહ્યું : “મહાકવે ! આ દહીંમાં થોડોક અલતાનો રંગ નાખી દો.” ધનપાલે જેવો દહીંમાં થોડોક રંગ નાખ્યો, તરત જ દહીંના રંગના જ અનેક જીવ, જે હમણાં સુધી અદૃષ્ટ હતા, દૃષ્ટિગોચર થઈ દહીંના પાત્રમાં અહીં-તહીં ચાલવા લાગ્યા.
દહીંપાત્રમાં આ પ્રમાણે અગણિત જીવોને આમ - તેમ ચાલતા અને ખદબદતા જોઈને, જૈન ધર્મના વિષયમાં કવિ ધનપાલના અંતરમનમાં જે ભ્રમણાઓ હતી, તે તત્કાળ નષ્ટ થઈ ગઈ. તેના મન-મસ્તિષ્ક પર છવાયેલું મિથ્યાત્વનું ધુમ્મસ તરત જ દૂર થઈ ગયું.
મહાકવિ ધનપાલે વિનયપૂર્વક હાથ જોડી, આદરપૂર્વક શીશ ઝુકાવતા વિનમ્ર સ્વરે બંને સાધુઓને તેમના વિષયમાં પૃચ્છા (પૂછતાછ) કરી. આથી એક સાધુએ જણાવ્યું : “મહાકવિ ! અમે અહીંયાં ગુર્જરભૂમિથી આવ્યા છીએ. મહેન્દ્રસૂરિના શિષ્ય શોભનાચાર્ય અમારા ગુરુ છે. આ નગરીમાં આદિનાથ ભગવાનના મંદિર પાસેના એક ઉપાશ્રયમાં અમે બધા રોકાયા છીએ.” ત્યાર બાદ બંને સાધુ જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ફરી ગયા.
૨૩૮ ૩૦
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)