________________
ઉજાગર થયો. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે : “વી. નિ. સં. ૬૦૯ વર્ષ વીત્યા પછી રથવીરપુરમાં બોટિક (દિગંબર) મતની ઉત્પત્તિ થઈ.” આ સંપ્રદાયના ઉદ્દભવવાની બીનાનો જે ઉલ્લેખ વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિ આદિ ગ્રંથોમાં જોવા મળે છે, એનો સારાંશ નીચે પ્રમાણે છે :
એક વાર રથવીરપુરના દીપ નામક બાગમાં આચાર્ય કૃષ્ણનું આગમન થયું. ત્યાં શિવભૂતિ નામનો એક રાજપુરોહિત રહેતો હતો. રાજાની વિશેષ કૃપા હોવાને લીધે તે નગરના વિવિધ ભોગવિલાસોને માણતો રહીને મરજી પ્રમાણે ફરતો રહેતો અને અડધી રાત પછી પોતાના ઘરે જતો હતો.
એક દિવસ શિવભૂતિની ભાર્યાએ પોતાનું આ દુઃખ રડીને એની સાસુને કહ્યું : “તમારો પુત્ર રાતે ક્યારેય સમયસર નથી આવતા, હંમેશાં અડધી રાત પછી જ આવે છે, તેથી ભૂખ અને ઉજાગરાના સંતાપના લીધે હું દુઃખી છું.” સાસુએ એને સાંત્વના આપી તેમજ બીજા દિવસે એણે વધૂને સુવડાવીને જાતે જાગરણ કર્યું. અડધી રાત પછી જ્યારે શિવભૂતિએ આવીને ઘરનું બારણું ખખડાવ્યું તો એની વૃદ્ધ માતાએ ગુસ્સે થઈને ખીજવાઈને કહ્યું : “જ્યાં આ સમયે દરવાજા ખુલ્લા રહેતા હોય, ત્યાં ચાલ્યો જા; અહીં તારી પાછળ કોઈ મરવા માટે તૈયાર નથી.’”
આમ આ રીતે પોતાની ઉંમરલાયક માતાના ધમકાવવાથી તે અહંકારવશ તરત જ જતો રહ્યો. નગરમાં ફરતા-ફરતા જ્યારે એણે ઉપાશ્રયના દરવાજા ખુલ્લા જોયા તો ત્યાં જતો રહ્યો અને બીજા દિવસે આચાર્ય કૃષ્ણ પાસે દીક્ષિત થઈ એમની સાથે તે અલગ અલગ સ્થળોએ વિચરણ કરવા લાગ્યો.
કાલાન્તરમાં આચાર્ય કૃષ્ણ પોતાના શિષ્યવૃંદ સાથે ફરી ૨થવીરપુરમાં ગયા, એ વખતે ત્યાંના રાજાએ એમના પહેલાના સ્નેહના લીધે મુનિ શિવભૂતિને એક મોંઘોદાટ રત્નકાંબળો ભેટરૂપે આપ્યો. આચાર્યને ખબર પડતા એમણે કહ્યું : “સાધુએ આ રીતે કીમતી વસ્ત્ર પાસે રાખવું યોગ્ય નથી.''
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૨૮૯