________________
૪૭
પરંતુ તેમનું શરીર દિવસે દિવસે ઘસાતું જતું હતું. પોતે હવે વધુ સમય નહિ કાઢી શકે એમ એમને પોતાને સમજાઈ ગયું હતું. એટલે એમણે પોતાની મિલકતનું વસિયતનામું વેળાસર કરાવી લીધું હતું.
મોતીશાહનો જીવ ઘણો ઉદાર અને નીતિમય હતો. પોતાની યુવાવસ્થામાં, પિતાના અવસાન પછી થોડું ધન કમાયા કે તરત જ એમણે બધા લેણદારોને બોલાવી પિતાનું દેવું ચૂકતે કરી દીધું હતું. યુવાનીમાં એમણે જેમ આ કામ કર્યું તેમ ઉત્તરાવસ્થામાં પોતાની ગંભીર માંદગીને લીધે અંતસમય પાસે આવી રહ્યો છે એમ જાણીને પોતાના હિન્દુ, જૈન, મુસલમાન, ખ્રિસ્તી વગેરે જે કંઈ કરજદારો હતા અને પૈસા ભરવાને અશક્ત હતા તેઓ દરેકને બોલાવી-બોલાવીને તેમની દેવાની રકમ માંડી વાળી હતી. પેઢીના ચોપડે પણ તે પ્રમાણે લખાવીને તે દરેકના ખાતામાં હિસાબ ચૂકતે કર્યો કે જેથી કરીને પોતાના અવસાન પછી એ દેવાદારોને કોઈ કનડગત કરે નહિ. આ રીતે એમણે કુલ એક લાખ રૂપિયાથી વધુ રકમ દેવાદારો પાસેથી જતી કરી હતી. પોતાના અવસાન પૂર્વે એમણે આ એક બહુ જ મહત્ત્વનું માનવતાનું કાર્ય કર્યું હતું. જ્યાં નાણાં આપવાની અપેક્ષા ન હતી ત્યાં પોતે નાણાં આપીને ઋણમુક્ત થવું અને જ્યાં નાણાં લેવાની અપેક્ષા છે ત્યાં નાણાં લીધા વગર બીજાઓને ઋણમુક્ત કરવાં એ સરળ વાત નથી. એમાં શેઠની ઉદારતા, ઉદાત્તતા, માનવતા અને દીર્ઘદૃષ્ટિનાં સુભગ દર્શન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org