________________
૧૮૬
જૈન ઈતિહાસ હતા. તેમને જૈન ધર્મ પર ઘણી જ શ્રદ્ધા હતી. જૈનધર્મની ઉન્નતિ કરવામાં તેમણે તન-મન અને ધનથી ઘણો જ પ્રયત્ન કરેલો છે. તેમણે ઘણા મોટા આડંબરથી શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો, અને તેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી જૈન ધર્મનો મહિમા વધાર્યો હતો. વળી તેમણે શત્રુંજય પર લાખો રૂપિયા ખર્ચી કુંતાસરનો ખાડો પુરાવી તે પર મનોહર ટુંક બંધાવેલી છે. પરોપકાર માટે તેમણે બંધાવેલી ધર્મશાળાઓ ઘણી જગાએ જોવામાં આવે છે. લાખો રૂપિયાની કિંમતના ધર્માદા મકાનો તેમણે મુંબઈ આદિ શહેરોમાં બંધાવેલાં છે. એવી રીતે આ ધાર્મિક મોતીશાહ શેઠે પણ જૈનધર્મની ઘણી ઉન્નતિ કરેલી છે, એમ હાલ પણ આપણે નજરે જોઈએ છીએ.
શ્રી વિજયાનંદસૂરિ અથવા શ્રી આત્મારામજી મહારાજ, વિક્રમ સંવત ૧૯૪૦
આજના સમયમાં આ પ્રખ્યાતિ પામેલા શ્રી વિજયાનંદસૂરિશ્વર મહાવિદ્વાન તથા જૈનશાસનનો મહિમા વધારનારા થયા છે. વળી તે શ્રીઆત્મારામજી મહારાજના નામથી પણ પ્રસિદ્ધ છે. તેમણે જૈનતત્ત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્ત્વનિર્ણયપ્રાસાદ આદિ ગ્રંથો બનાવ્યા છે. પંજાબ આદિ દેશોમાં વિહાર કરી તેમણે ઘણા મનુષ્યોને પ્રતિબોધીને શુદ્ધ જૈનધર્મમાં દાખલ કર્યા છે. તેમણે પોતાની વિદ્વતાથી અંગ્રેજ સરકાર તરફથી પણ ઘણું માન મેળવ્યું છે. વળી તેમણે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા આદિ ઘણાં ધર્મ કાર્યો કર્યાં છે. ઘણી જગ્યાએ તેમના ઉપદેશથી નવાં જિનમંદિરો બાંધવામાં આવ્યાં છે, તથા ઘણાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આર્યસમાજીઓ સાથે ધર્મવાદ કરીને તેમણે જયપતાકા મેળવી છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International