________________
૧ પ્રકરણ - ૨૧]
વિક્રમ સંવત ૧૨૫૦ થી ૧૩૦૦ (જગડુશાહ શેઠ, વસ્તુપાળ તેજપાળ)
જગડુશાહ શેઠ, વિક્રમ સંવત ૧૨૫૦ ગુજરાતમાં વાઘેલા વંશનો વિશળદેવ નામે રાજા જ્યારે રાજ્ય કરતો હતો, ત્યારે પાટણમાં એક જગડુશાહ નામે મહા ધનાઢ્ય શેઠ વસતો હતો. તે શેઠ મહાદયાળુ, પરોપકારી અને જૈન ધર્મમાં દઢ ચિત્તવાળો હતો. એક સમયે તેને ઘેર એક યોગી આવી ચડ્યો. તેને શેઠે ભાવથી ભોજન કરાવ્યું, ત્યારે તે યોગીએ ખુશ થઈ શેઠને કહ્યું કે, હે શેઠજી ! આજથી પાંચ વર્ષ સુધી ભયંકર દુકાળ પડશે. નવું ધાન્ય કે ઘાસ થશે નહીં. એમ કહી તે યોગી ત્યાંથી ચાલ્યો ગયો. યોગીનું વચન સાંભળી આ દયાળુ શેઠે દશે દેશમાં પોતાનાં માણસો મોકલી કરોડો સોનામહોરો ખર્ચો ધાન્ય અને ઘાસનો જબરો સંગ્રહ કર્યો. ત્યાર બાદ યોગીના કહેવા મુજબ પાંચ વર્ષ સુધી ભયંકર દુકાળ પડ્યો. તે વખતે આ દયાળુ જગડુશાહ શેઠે સ્થળે સ્થળે દાનશાળા ખોલીને લાખો મનુષ્યોનો તથા પશુઓનો બચાવ કર્યો. ઘણા રાજાઓને પણ ધાન્ય આપી તેઓની પ્રજાનો પણ બચાવ કર્યો. ઘણી જગાએ તેણે કૂવા, વાવ, તળાવો ખોદાવ્યાં, તથા પાણીની પરબો બાંધી કચ્છમાં આવેલાં પ્રાચીન ભદ્રેશ્વરજીના જિનમંદિરનો તેમણે જીર્ણોદ્ધાર કરેલો કહેવાય છે. એવી રીતે દુકાળનું સંકટ દૂર કરવા માટે આ જગડુશાહનું નામ હિંદુસ્તાનમાં ઘણું પ્રખ્યાત થયેલું છે. તેણે બંધાવેલાં તળાવો, તથા કુંડો વગેરે આજે પણ હયાત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org