________________
૯૫
ગાંધીજીનું જૈનધર્મને પ્રદાન
ધર્મચેતનાનાં મુખ્ય બે લક્ષણ છે જે બધા ધર્મસંપ્રદાયોમાં વ્યક્ત થાય છે, ભલે ને તે આવિર્ભાવમાં તારતમ્ય હોય. પહેલું લક્ષણ છે અન્યનું ભલું કરવું અને બીજું લક્ષણ છે અન્યનું બૂરું ન કરવું. આ વિધિ-નિષેધરૂપો યા હકાર-નકારરૂપો સાથે સાથે જ ચાલે છે. એકના વિના બીજાનો સંભવ નથી. જેમ જેમ ધર્મચેતનાનું સ્પન્દન વિશેષ અને ઉત્કટ તેમ તેમ આ બન્ને વિધિ-નિષેધરૂપો પણ વધુ ને વધુ સક્રિય બને છે. જૈન પરંપરાની ઐતિહાસિક ભૂમિકાને આપણે તપાસીએ છીએ તો જણાય છે કે તેના ઇતિહાસકાળથી જ ધર્મચેતનાનાં ઉક્ત બન્ને લક્ષણો અસાધારણ રૂપે પ્રાપ્ત થાય છે. જૈન પરંપરાનો ઐતિહાસિક પુરાવો કહે છે કે બધાંનું અર્થાત્ પ્રાણીમાત્રનું, જેમાં મનુષ્ય, પશુ-પક્ષી ઉપરાંત સૂક્ષ્મ કીટ જંતુ સુધ્ધાંનો સમાવેશ થઈ જાય છે તે પ્રાણીમાત્રનું, બધી રીતે ભલું કરો. તેવી જ રીતે પ્રાણીમાત્રને કોઈ પણ પ્રકારની તકલીફ ન દો. આ પુરાવો કહે છે કે જૈન પરંપરાગત ધર્મચેતનાની ભૂમિકા પ્રાથમિક નથી. મનુષ્યજાતિ દ્વારા ધાર્મિક ચેતનાનો જે ક્રમિક વિકાસ થયો છે તેનું પરિપક્વ રૂપ તે ભૂમિકામાં દેખાય છે. આવા પરિપક્વ વિચારનું શ્રેય ઐતિહાસિક દષ્ટિએ ભગવાન મહાવીરને તો અવશ્ય છે જ.
કોઈ પણ સપુરુષાર્થી અને સૂક્ષ્મદર્શી ધર્મપુરુષ પોતાના જીવનમાં ધર્મચેતનાનું ગમે તેટલું સ્પન્દન કેમ ન કરે પરંતુ તે પ્રગટ તો થાય છે સામયિક અને દૈશિક-કાલિક જરૂરિયાતોની પૂર્તિ દ્વારા. આપણે ઇતિહાસ દ્વારા જાણીએ છીએ કે મહાવીરે બધાંનું ભલું કરવું અને કોઈને તકલીફ ન દેવી આ બે ધર્મચેતનાનાં રૂપોને પોતાના જીવનમાં બરાબર પ્રગટ કર્યા. પ્રકટીકરણ સામયિક જરૂરિયાતો અનુસાર મર્યાદિત રહ્યું. મનુષ્યજાતિની તે સમયે અને તે દેશે નિર્બળતા જાતિભેદમાં, છૂતાછૂતમાં, સ્ત્રીની લાચારીમાં અને યજ્ઞીય હિંસામાં હતી. મહાવીરે આ નિબળતાઓનો સામનો કર્યો કેમ કે તેમની ધર્મચેતના પોતાની આસપાસ થઈ રહેલા અન્યાયોને સહન કરી શકતી ન હતી. આ કરુણાવૃત્તિએ તેમને અપરિગ્રહી બનાવ્યા. અપરિગ્રહી પણ એવા કે જેમાં ન ઘરબાર કે ન વસ્ત્રપાત્ર. આ કરુણાવૃત્તિએ તેમને દલિત-પતિતનો ઉદ્ધાર કરવા પ્રેરિત કર્યા. આ તો થયું મહાવીરની ધર્મચેતનાનું સ્પદન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org