________________
તૃષ્ણા
તૃષ્ણા મૃત્યુ કરતાં પણ બળવાન છે. જગતની કોઈ પણ વસ્તુને તપાસીએ તો સમય જતાં આકર્ષકમાં આકર્ષક વસ્તુ અનાકર્ષક બની જાય છે. વસંત પાછળ પાનખર છે. યુવાની પાછળ વૃધ્ધાવસ્થા છે. જન્મ પાછળ મરણ છે. શરીર પાછળ રાખ છે. વસ્ત્ર પાછળ ચીથરાં છે. વાસણ પાછળ ભંગાર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે નિત્ય યુવાન દેખાતી તૃષ્ણાને સમય કાંઈ કરી શકતો નથી.
તૃષ્ણા ડાકણ સમાન છે. પરંતુ એનું રૂપ આકર્ષક છે. તૃષ્ણા આગ છે. પરંતુ એનું સ્વરૂપ મોહક છે. એ ઝેર છે પરંતુ પ્રારંભિક સ્વાદ મીઠો છે અને આ જ કારણથી અગણિત દુઃખો, જાલિમ ઝઘડા, અને દુર્ગતિની કારણભૂત એવી તૃષ્ણાને આપણે છોડી શકતા નથી. તૃષ્ણા છોડવી દુષ્કર છે. અપૂર્ણ રહેવાનો એનો સ્વભાવ છે.
સર્પના ડંખીલા સ્વભાવને સમજીને જેમ સર્પથી દૂર રહીને આપણે આપણી જાતને બચાવી લઈએ છીએ તેમ અપૂર્ણ રહેવાના તૃષ્ણાના સ્વભાવને સમજીને તૃષ્ણાથી દૂર રહીને આપણી જાતને આપણે બચાવી લેવાની જરૂર છે.
જીવનમાં જે મળ્યું છે તેનો સંતોષ રાખી તૃષ્ણા પર કાબૂ મેળવવામાં આવે તો જીવનમાં એક નવી તાજગીનો અનુભવ થાય છે અને સાથે સાથે જે મળ્યું છે તે પરમાત્માની મહેરબાનીથી પામેલ છે અને તેમાં તેના સર્વે સંતાનોનો હક્ક છે એ ભાવના કેળવીએ તો જીવનમાં શાશ્વત આનંદનો અનુભવ થાય.
Jain Nucation International
For Personal & Private Use Only