________________
૭૬: આભના ટેકા
કર્ણાવતીના રાજા સારંગદેવની પાસે ઝાંઝણમંત્રી મોટું ભંટણું લઈને પધાર્યા. રાજાએ પણ સ્વાગત-સન્માન સાથે સત્કાર કર્યો. રાજા પાસે ઝાંઝણની કીર્તિની વાતો તો પહોંચી હતી જ. રાજાને ઉમળકો આવ્યો! મંત્રીશ્વર સંઘપતિ ઝાંઝણને આમંત્રણ આપ્યું કે, “આવતી કાલે આપના યાત્રિકવર્ગમાંથી બે હજાર યાત્રિકો સહ ભોજન સમયે આપ પધારો, આપણે સાથે ભોજન કરીશું.”
ઝાંઝણ વિમાસણમાં પડ્યા. રાજાએ ઝાંઝણ સંઘવીને આમ મૂંઝાયેલા જોઈને કહ્યું કે : આ પ્રકારનું ઇજન ક્યારેક જ અપાય છે; બીજા તો રાજાના આમંત્રણ તરત ઝીલી લેતા હોય છે, જ્યારે આપ આમ મૌન શું થઈ ગયા ! મનમાં શું વિમાસી રહ્યા છો?
ઝાંઝણ કહે રાજન! બહુ મોટી મૂંઝવણ છે. મારો પ્રાણ-પ્યારા બે લાખ ભાઈ-બહેનોમાંથી હું કયા બે હજારને કહું? મારી જીભ શે ઊપડે ? અન્યને રાજ્યના મહેમાન થવા માટે બિનલાયક ગણું એ નહીં બની શકે.
સારંગદેવની સભામાં બેઠેલા મંત્રી, પુરોહિત, નગરશેઠ અને સૌ નગરજનો મંત્રીશ્વર ઝાંઝણની નીલમ રત્નની વાળીથી શોભતી કર્ણપાલી, પાણીદાર આંખો, દઢતાસૂચક હોઠ અને શાંત અપાર્થિવ તેજથી ઝગઝગાટ લલાટને વિસ્ફારિત નેત્રે નિહાળી રહ્યા ! શું સિંહ જેવી નિર્ભયતા ! શું સાધર્મિકપ્રેમની પરાકાષ્ઠા ! રાજાની વાતથી સહેજ પણ અંજાયા વિનાની દઢતા ! ઝાંઝણની વાત સાંભળી રાજા ક્ષણ વાર તો ડઘાઈ ગયા. પણ વળતી જ ક્ષણે રાજાની આંખમાં ચમક આવી. મનમાં યુક્તિ સૂઝી. કહ્યું તો શું મારે તમને આમંત્રણ આપવું હોય તો તે માટે મારે તમારા તમામ બે લાખ યાત્રિકોને આમંત્રણ આપવું જોઈએ? ઝાંઝણ કહે ચોક્કસ!
હવે બોલવાનો વારો રાજાનો હતો. રાજા કહે : માની લો, તમને મારા પર સ્નેહ આવ્યો અને તમે મને જમવા માટે નોતરું આપ્યું. હું કહીશ, ના ! એમ હું એકલો ન આવું. મને જમાડવો હોય તો મારી ગુજરાતની સમગ્ર પાંચ લાખ પ્રજાને પણ આમંત્રણ આપવું પડે ! હું કાંઈ મારી વહાલસોઈ પ્રજાને મૂકીને તમારે ત્યાં જમવા ન આવું. તો શું તમે મને એ રીતે સમગ્ર પ્રજા સહિતનું આમંત્રણ આપશો?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org