________________
આભના ટેકા: ૨૧ સંસારમાં ચારે ગતિમાં, ચોવીસે દંડકમાં ચોર્યાસી લાખ જીવાયોનીમાં અને ચૌદરાજલોકમાં જીવો કેવા-કેવા પ્રકારે સંકલેશવાળા પરિણામથી કર્મ બાંધે છે; ભોગવે છે અને ધર્મના પ્રભાવે કેવી રીતે તે કર્મથી મુક્ત થાય છે... --આ બધું કાનમારગ થઈને હૈયા સોસરવું ઊતરી ગયું. રંગરાગની દુનિયા હવે અકારી લાગી.
માતાને વાત કરી. માતાનું મન બાળકને પટાવે તેવા શબ્દો કહે છે : સંસાર તો સુખથી ભરેલો છે. સંયમ તો દુઃખની ખાણ છે. વળી તારા અને તારા સ્વજનોના સંબંધો તો મીઠાં મધુરાં છે તારી એક-એક પત્ની તારા માટે પોતાનો જાન કુરબાન કરવા તત્પર છે. આવી સુખભરી છોળ છોડીને -તરછોડીને જવાનું શાને વિચારો છો?
કુમાર મેઘે પ્રભુવાણીનું અંજન કર્યું હતું તેથી તેમની નજરને હવે સમગ્ર સંસાર તેના વાસ્તવિક રૂપમાં દેખાવા લાગ્યો હતો. માતાને એક-એક મુદાના સચોટ ઉત્તર આપ્યા :
સંસાર સોહામણો લાગે છે તે તો કોલસા ઉપરનો વરખ છે ત્યાં સુધી જ. જેવો વરખે ખસ્યો પછી તેનું સ્વરૂપ કેવું વરવું લાગે છે !
સંયમ દુઃખ ભર્યો છે તે એક પૂર્વગ્રહ ભરેલી માન્યતા છે. સુખ અને દુઃખ સાપેક્ષ જ હોય છે. ઉપરથી દેખાતાં દુઃખની નીચે કેવું છલોછલ સુખ ભર્યું છે તે તો નજરનું દાન મળે પછી જ સમજાય. હે માતા ! તમે કહો છો કે સ્વજનોનો સ્નેહ છે. મને એ તો કહો કે આયુની દષ્ટિએ તમે પહેલા જશો કે મારે પહેલાં જવાનું થશે એ જ્ઞાન કોની પાસે છે? એટલે એ સ્નેહ પણ કેટલો બટકણો પાંગળો અને પોકળ છે તે અનુભવવાનો વિષય નથી પણ બધી રીતે સમજાઈ ચૂકેલી બાબત છે. મનુષ્યભવના આ દેહની સાર્થકતા, સકળજીવોને અભયદાન આપવામાં છે એટલે મેં સંયમનો નિર્ધાર કર્યો છે.
માતાને ખાત્રી થઈ કે વૈરાગ્ય છે અને તે જ્ઞાનગર્ભિત છે. ઠાલો ઊભરો નથી. માતાએ સંમતિ આપી.
આમેય રાજપુત્રની દીક્ષા અનેકને બોધિની પ્રાપ્તિ કરાવનાર બને. આ તો, મગધસમ્રાટ શ્રેણિક રાજા, જેઓ નિશ્ચલ સમકિતી છે, તેના પુત્ર. વળી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પાસે પ્રવજ્યા -દીક્ષા ગ્રહણ કરે તે પ્રસંગ તો અનેકના હૈયામાં સંવેગના દીપકને પ્રગટાવનારો બની રહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org