________________
૧૩૦ઃ આભના ટેકા
દિવસમાં એકાદવાર ભોજનનો સમય રહે. કોઇ ઘટાદાર વડલો આવે ત્યારે હાશ કરીને બેસી પડાય. આજુબાજુમાં પાણી શોધે. કૂવો, વાવ, તળાવ, કે ઝરણું મળી આવે. નિર્મળ જળથી ખોબે ખોબે હાથ-મોં સ્વચ્છ કરીને ભાતું ખોલે. ધીરે ધીરે પેટ પૂજા ચાલે. મૂલદેવ તે વખતે બ્રાહ્મણથી થોડે દૂર પથ્થર પર બેસે. લંબાવે. ભૂદેવને પૂરો ઓડકાર આવે એટલે મૂલદેવને કહે, કેમ ચાલશું ને! મૂલદેવ કહે; ભલે ચાલો.
વળી વાર્તાઓનો એ જ દોર સંધાય, લંબાય. વચ્ચે વચ્ચે રસ્તે આવતાં વૃક્ષો અને ફળ-ફળાદીની વાતો થાય. ચર્ચા પણ ચાલે. સાંજ થાય અને સૂરજ દાદા આથમણે ઢળે અને અંધારા પથરાય એટલે કોઈ નિર્ભય જગ્યા શોધીને બંને જણા લંબાવે. થાક્યાં પાક્યાં ઊંઘી જાય. ક્યારેક રાત્રે જાગી જવાય તો તારાઓને ઓળખે અને તેની સાથે ગોઠડી માંડે.
કોઇ ફરિયાદ નથી; કોઇનો ન્યાય કરવાની વૃત્તિ નથી. છતાં મનમાં થાય. કેવી મૂર્ખતા કેળવાઇ હશે. તો જ આવું બને; બની શકે. સાથે ચાલનારો માણસ ડાહી ડાહી વાતો કરી જાણે. ભોજન વેળા થાય ત્યારે સાવ એકલપેટો થઈને જમી લે! વળી ઓડકાર ખાઈને સાથે ચાલવા લાગે. છતાં મૂલદેવને તેના પ્રત્યે અપ્રીતિ, દ્વેષ કે અણગમો ન ઉપજે. આવું બને? બની શકે?
આપણને આવો પ્રશ્ન થવો સહજ છે. પણ વિવેક દષ્ટિની જાગરુકતાથી મૂલદેવનું મન ઘડાયું હતું. આવા સંયોગોમાં બ્રાહ્મણે ચાલવામાં સાથ આપ્યો. એ કારણે જંગલમાં એનું રક્ષણ થઇ રહ્યું છે. ધીરે ધીરે પંથ પણ ખૂટે છે. આવું સહજ આશ્વાસન પોતાના મનમાં મેળવતો.
એકાદવાર મનમાં એવો વિચાર ઝબક્યો: અહો! આજે એ બ્રાહ્મણે મને નથી આપ્યું પણ આવતી કાલે તો આપશે. અને કદાચ ન પણ આપે. આપવું ન આપવું તે તેના પોતાના મનની વાત છે. તેની ઇચ્છા પર આધારિત છે. મારાથી કેમ મંગાય કે એવી આશાભરી નજરે કેમ જોવાય? એ ન પણ આપે. એ ન આપે તેથી તે કાંઇ વૈષ પાત્ર નથી બનતો.
મૂલદેવની આવી વિચારસરણી કાલ્પનિક કે માત્ર આદર્શ છે કે અવ્યવહારુ છે એવું નથી. આજના જમાનામાં પણ આવા ઉદાત્ત હૃદય હોય છે. તમને એક વર્તમાનકાલીન ઉદાહરણ આપું. એ પણ કોઇ સંત કે સાધુ પરુષનું નહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org