________________
આભના ટેકા : ૧૧૭
વાત છે ભાવનગરના મહારાજા ભાવસિંહજીની. તેઓ કોઈ કામ પ્રસંગે ધરમપુર સ્ટેટના મહેમાન થયેલા. ત્યાં, ઘોડા પર બેસીને બહાર પધાર્યા હતા અને ઘોડા પરથી પડી ગયા; બેભાન થઈ ગયા. આ સમાચાર ભાવનગર પહોંચ્યા કે તરત જ દિવાન શ્રી પ્રભાશંકર પટ્ટણી તાબડતોબ ધરમપુર જવા રવાના થયા. સાથે રૂપિયા ત્રણ હજાર રોકડા પણ લીધા.
ધરમપુર પહોંચી પટ્ટણીજીએ પહેલું કામ કર્યું, બે હજાર રૂપીયા દાન માટે જુદા રાખ્યા અને રસ્તે જે કોઈ સંન્યાસી-બાવા-ફકીર-ગરીબ-ગુરબાં મળે તેને છૂટે હાથે દાન દેવા માંડ્યું અને મહારાજ માટે દુવા માંગી.
એમ કરતાં તેઓ દરબારગઢની નજીક પહોંચ્યા. ત્યાં એક ઓટલા પર એક ફકીર બેઠા હતા. આંખે અખમ લાગ્યા. તેમની પાસે જઈ તેમના હાથમાં રૂપિયા મૂકવા માંડ્યાં. ફકીર કહે : ‘મારે ન જોઈએ.’ દિવાન પટ્ટણીજીએ કહ્યું કે, ‘ભલે; આપના હાથે બીજાને આપજો, પણ લ્યો.' પ્રસન્ન ફકીરે આજુબાજુ ભેગાં થયેલાને રૂપિયાની ખેરાત કરી અને છેલ્લે એક રૂપિયો પોતે રાખ્યો. પટ્ટણીજીએ દુવા માંગી.
સર પ્રભાશંકર પટ્ટણી દરબારગઢમાં ગયા. ત્યાં વાતાવરણ ગંભીર હતું. મહારાજા સાહેબ સૂનમૂન બેભાન પડ્યા હતા. ચિંતીત વૈદ્યો ઉપચાર કરી રહ્યા હતા. પટ્ટણીજી મહારાજ નજીક જઈ, શાંત ચિત્તે આંખ મીંચી, જરા વાર બેઠા. મનોમન પેલા ફકીરને યાદ કરીને મહારાજને માથે હાથ ફેરવ્યો.મહારાજ હળવે-હળવે ભાનમાં આવ્યા. સૌ અવાક્ થઈ આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા ! આ ચમત્કાર દુવાનો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org