________________
પરિશિષ્ટ
૨૬૫
વિવક્ષિત કોઇ પણ સમયે પરસ્પર વિશુદ્ધિમાં નિવૃત્તિ=તફાવત હોવાથી આ ગુણસ્થાનનું ‘નિવૃત્તિકરણ' એવું પણ નામ છે.
(૯) અનિવૃત્તિ બાદર સંપરાય— અહીંથી' જીવોના ક્ષપક અને ઉપશમક એવા બે વિભાગ પડે છે. કોઇ જીવો અહીંથી મોહને મારતા મારતા આગળ વધે છે, તો કોઇ જીવો મોહને દબાવતા દબાવતા આગળ વધે છે. મોહને દબાવતા દબાવતા ચઢનાર જીવો ઉપશમકર કહેવાય છે. તે જીવો અગિયારમા ગુણસ્થાનક સુધી ચઢે છે, પછી અવશ્ય પતન પામે છે. મોહને મારતા મારતા જનારા જીવો ક્ષપક કહેવાય છે. તે જીવો દશમા ગુણસ્થાનકથી સીધા બારમા ગુણસ્થાને જાય છે. હવે આપણે નવમા ગુણસ્થાનની વાત કરીએ. નવમા ગુણસ્થાને રહેલો આત્મા (સૂક્ષ્મ લોભ સિવાય) મોહને મારી નાંખે છે કે દબાવી દે છે. આ ગુણસ્થાનના નામમાં અનિવૃત્તિ અને બાદરસંપરાય એવા બે વિભાગ છે. આ ગુણસ્થાને એક સમયે ચઢેલા બધા જ જીવોના અધ્યવસાયોની શુદ્ધિમાં નિવૃત્તિ=તરતમતા ન હોય, અર્થાત્ બધાના અધ્યવસાયો સમાન હોય છે. આથી તેના નામમાં અનિવૃત્તિ શબ્દ જોડવામાં આવ્યો છે. બાદર એટલે સ્થૂલ. સંપરાય એટલે કષાય. આ ગુણસ્થાને સ્થૂલ કષાયો હોય છે માટે તેના નામમાં બાદર સંપરાય શબ્દ જોડવામાં આવ્યો છે.
(૧૦) સૂક્ષ્મ સંપરાય– સંપરાય એટલે કષાય. નવમા ગુણસ્થાને બાકી રહી ગયેલા સૂક્ષ્મ લોભ કષાયને આ ગુણસ્થાનના અંતે દબાવી દે છે કે મારી નાખે છે.
૧. યદ્યપિ આઠમા ગુણસ્થાનકથી પણ ક્ષપક અને ઉપશમક એવા ભેદ પડે છે, પણ તે યોગ્યતાની અપેક્ષાએ છે. કાર્યની અપેક્ષાએ નહિ. કારણ કે ત્યાં મોહની એક પણ પ્રકૃતિનો સંપૂર્ણક્ષય કે ઉપશમ કરતો નથી. આ ગુણસ્થાને આવનાર જીવ અવશ્ય ઉપરના ગુણસ્થાને ચઢીને મોહનો ક્ષય કે ઉપશમ કરતો હોવાથી જેમ રાજ્યને યોગ્ય કુમારને રાજા-યુવરાજ કહેવામાં આવે છે તેમ ઉપચારથી તેને ક્ષપક કે ઉપશમક કહેવામાં આવે છે. મુખ્યતયા તો નવમા ગુણસ્થાનકથી ક્ષપક-ઉપશમક એવા બે ભેદ પડે છે.
૨. ક્ષપક અને ઉપશમ એમ બે શ્રેણિ છે. ક્ષપક શ્રેણિથી ચઢનાર મોહને મારે છે, ઉપશમ શ્રેણિથી ચઢનાર મોહને દબાવે છે. ક્ષપક શ્રેણિથી ચઢનારને ‘ક્ષપક’ અને ઉપશમ શ્રેણિથી ચઢનારને ઉપશમક' કહેવામાં આવે છે.
૩. નવમાને અંતે ‘બાદર(=સ્થૂલ) કષાયોનો ક્ષય કે ઉપશમ થાય છે. આથી આ ગુણસ્થાને બાદર કષાયો હોય છે એમ કહી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org