________________
પ્રસ્તાવના
ગામડાંમાં ઔદ્યોગિક ક્રાંતિ આવે અને એના એંજિન તરીકે રૂ ઉગાડતાં ગામડાંમાં વગર પૈસે કાપડ બનાવવાનું શરૂ થાય એ આ પુસ્તકનો હેતુ છે.
બેકારી, અને તેમાંથી પરિણમતી ગરીબાઈતથા ગુલામી, દૂર કરવામાં અવરોધ પૈસાનો અભાવ નહીં પણ બજારનો અભાવ છે, તેથી આ રસ્તે બજારો મળવાથી બેકારી દૂર થઈ શકે. કુદરત અનેકગણું આપતી હોવાથી અત્યારનાં મડદાલ ગામડાં પલટાઈને સ્વતંત્ર અને સમૃદ્ધ બની શકે જ્યાં હરિયાળી ધરતી અને ગ્રામવાસીઓનાં દિલ પણ હરિયાળાં હોય.
આ અર્થરચના ઊભી થાય તો શહેરવાસીઓને પણ અંદાજ આવે કે કેવી જીંદગી મળી શકે એમ છે અને અત્યારે પોતે શું ગુમાવી રહ્યા છે.
પ્રશ્ન મા અને બાળકના પોષણનો હોય કે સંયુકત રાષ્ટ્રસંઘનો હોય, આપણી દુનિયાની કટોકટીનું મૂળ અત્યારના જંગી પાયા પરના ઉત્પાદનમાં છે, અને એનો ઉકેલ ગામડાંમાં રૂ ઉગાડી વગર પૈસે કાપડ : બનાવવામાં છે એ ખાતરી આ દિશામાં કામ શરૂ કરવાથી ડગલે ને પગલે પાક્કી થાય છે. શરૂઆતમાં મુશ્કેલીઓ આવે તો પણ દિશા સહી હોય ત્યારે નિષ્ફળતાઓ પણ સફળતા તરફ લઈ જાય છે.
આ મોંઘેરી ગુજરાતની પ્રજાનાં પુણ્યો અખૂટ છે કે આ નવી અર્થવ્યવસ્થા ઊભી કરવા માટે જરૂરી બધાં ઘટકો અહીં છે. રૂ, રેંટિયો, વણકરો, કુદરતી રંગો, કલાત્મક બુટ્ટા બધું છે અને સાથે છે નવી દિશા ખેડવા દૃષ્ટિવાન, સાહસવીર, સર્જનશીલ ગુજરાતીઓ.
આ લેખો લખાયા તે જન્મભૂમિ-પ્રવાસીની રવિવારની પૂર્તિ માટે. એ શરૂ કરાવનાર સ્વ. કવિ હરીન્દ્રભાઈ દવેની તો હવે પુયસ્મૃતિ જ છે. એમના પછી આ લેખોની શ્રેણી ચાલુ રાખવા માટે હું નવાં તંત્રી કુન્દનભાઈ વ્યાસ અને પૂર્તિના તંત્રી તરુબહેન કારીઆ તથા એમના સાથીઓની આભારી છું.
બ્રહ્માંડોના બ્રહ્માંડમાં સૂર્ય પણ રજકણ છે તેવો આ પુસ્તકના વિરાટ હેતુ આગળ મારો પ્રયત્ન છે. આ પ્રયત્નમાં સહુ જોડાશે અને બિંદુનો સિંધુ બનાવશે એવી આશા રાખું છું.
૧૬ એપ્રિલ ૧૯૯૬ અમદાવાદ
નંદિની જોશી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org