________________
ઉપર અગાઉના જેવું સામ્રાજ્યવાદી વર્ચસ્વ હવે ન ખપે. નવાં નવાં રાષ્ટ્રો રાજકીય રીતે સ્વતંત્ર થઈ જાય. તેઓ આર્થિક વિકાસની દોટમાં સામેલ થશે એટલે તો ગમે તેમ કરીને અમેરિકાના વર્ચસ્વ હેઠળ આવવાનાં જ છે ને ! ‘વિકાસ’ નામનું એક સરસ સાધન હાથમાં આવી ગયું. તેને લીધે એક બાજુ તો અમેરિકા રાષ્ટ્રીય સ્વતંત્રતાના સૌથી મોટા પુરસ્કર્તા તરીકેની પોતાની છાપ ઊભી કરી શક્યું, અને તેની સાથોસાથ બીજી બાજુ પોતાનું એક નવા પ્રકારનું વિશ્વ-વર્ચસ્વ સ્થાપી શક્યું. આ એક નવો સંસ્થાનવાદ-વિરોધી સામ્રાજ્યવાદ હતો !
નવાં રાષ્ટ્રોના બધા જ નેતાઓએ જાણે-અજાણે અમેરિકાની આ ભૂમિકા સ્વીકારી લીધી. નહેરુથી લઈને અંક્રમા અને નાસરથી લઈને સુકર્ણ, બધાએ જ પોતાનાં રાષ્ટ્રો ‘અવિકસિત' છે એવી અમેરિકાની વ્યાખ્યા સ્વીકારી લીધી અને તે અનુસાર જ પોતાની આંતરિક નીતિઓ ઘડી.
ભારતીય નેતા નહેરુએ (અહીં નોંધવું જોઈએ કે ગાંધીની વિરુદ્ધ) ૧૯૪૯માં કહ્યું : ‘‘આમાં કોઈ વાદનો સવાલ નથી. સામ્યવાદ હોય કે સમાજવાદ હોય કે મૂડીવાદ હોય. મુખ્ય સવાલ આજે આમ જનતાનું જીવનધોરણ વધારવાનો છે.’’ એટલે આર્થિક વિકાસ રાજ્યનું મુખ્ય ધ્યેય બન્યો. બસ, ગમે તેમ કરીને ઉત્પાદન વધારો, ઉત્પાદન વધારો ! આ રીતે દુનિયા એક આર્થિક અખાડામાં ફેરવાઈ ગઈ, અને તે પશ્ચિમના દેશોને બહુ જ માફ્ક આવી ગયું. નવોદિત રાષ્ટ્રો એમની સાથે આર્થિક સ્પર્ધામાં આવી ઊભાં.
બધી જાતની સ્પર્ધામાં થાય છે તેમ આમાં પણ ધંધાદારી કોચિંગનું એક આખું માળખું ઊભું થઈ ગયું. સ્પર્ધામાં ઊભવું હોય, તો તે માટેની તાલીમ લેવી પડે ને ! બીજું બધું જ ગૌણ બની ગયું. આ નવી દોટમાં કેમ આગળ અવાય, એ જ એકમાત્ર લક્ષ્ય રહ્યું, આર્થિક વિકાસના નામે બીજા બધાનો જ ભોગ લેવાયો.
પરંપરાઓ, મૂલ્યો, માન્યતાઓ, સામાજિક રૂઢિ-રિવાજો, સમાજનું આખુંયે પોત —બધાનું જ ધોવાણ થતું ગયું. આર્થિક વિકાસ માટેનું આયોજન જ સર્વેસર્વા બની રહ્યું. તે માટેના નિષ્ણાતો દુનિયા આખી પર છવાઈ ગયા. વિકાસની એમની રૂપરેખા મોટેભાગે અમેરિકાની જીવનપદ્ધતિને અનુસરનારી હતી. આ રૂપરેખા મુજબ આખા ને આખા સમાજોનું નવેસરથી ઘડતર થવા માંડ્યું.
Jain Education International
૭
For Personal & Private Use Only
www.jainelibrary.org