________________
ત્ર
વિવિધતાનું ગળું રૂંઘતી આ સભ્યતા !
“જો હિંદુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે, તો હિંદુસ્તાન પાયમાલ થઈ જાય.'' –જ્યારે પોતે હજી દક્ષિણ આફ્રિકા હતા, ત્યારે ઠેઠ ૧૯૦૯માં મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાની પાકી માન્યતા વ્યકત કરી હતી; અને ત્યાર બાદ ૪૦ વરસ સુધી સ્વરાજ્યની લડત દરમ્યાન એમની આ માન્યતા એવી ને એવી દૃઢ રહી હતી. લડત તો એ જીત્યા, પણ મૂળ હેતુ બર આવ્યો નહીં, જેવું સ્વરાજ્ય મળ્યું, તેવું જ હિંદુસ્તાન ગાંધીની માન્યતાથી સાવ વિરુદ્ધ દિશામાં ચાલ્યું.
ગાંધી અંગ્રેજોને ભારતમાંથી કાઢવા માગતા હતા, કે જેથી ભારત વધુ ‘ભારતીય’ બની શકે. જ્યારે બીજી બાજુ નહેરુને મન તો સ્વરાજ્ય એટલે ભારતને વધુ ને વધુ ‘પશ્ચિમી ઢબે આધુનિક' બનાવી દેવાનો મોટો અવસર ! બંને નેતાઓનાં વલણ સાવ સામસામા છેડાનાં હતાં. છેલ્લે છેલ્લે લગભગ એક દાયકા સુધી બંને વચ્ચે ચાલેલો પત્રવ્યવહાર આ વાતને સાવ દીવા જેવી સ્પષ્ટ કરી દે છે. હત્યારાની ગોળીએ બંને વચ્ચેના વિવાદને જાહેરમાં આવતાં રોક્યો.
આધુનિક સભ્યતાનાં યંત્રો, એન્જિનો, કારખાનાંઓ ગાંધીને મુદ્દલ આકર્ષી શક્યાં નહોતાં. કેમ કે એ જોઈ શક્યા હતા કે આ સભ્યતા સામે કોઈ કહેતાં કોઈ ઉમદા ધ્યેય છે જ નહીં. એ તો માત્ર પડી છે માણસને શારીરિક શ્રમ ઓછામાં ઓછો કરવો પડે અને ભૌતિક સુખસગવડ તેને વધુમાં વધુ મળી શકે, એવા એક માત્ર ધ્યેય પાછળ. ગાંધીને તો થાય કે માણસ જેવો માણસ કાંઈ આવી રીતે ભૌતિક સુખ-સગવડ પાછળ ખુવાર થઈ જાય ? આ કાંઈ ઉચ્ચ જીવનનો આધાર બની શકે ? અધિષ્ઠાન બની શકે ? તેના કરતાં તો ભારતીય સંસ્કૃતિએ હજારો વરસથી માણસ સામે વધુ ઉમદા આદર્શો નથી મૂક્યા ?
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org