________________
TO © જ્ઞાનધાર ૭૦ સાહિત્ય, દર્શન સુધીનો વ્યાપ મળે છે. કવિ, સંપાદક, કોશકાર, વ્યાકરણશાસ્ત્રી, ઈતિહાસકાર અને સમાજસુધારકથી માંડીને યોગનાં ઊંચાં શિખરો સુધી એમની દષ્ટિ ફેલાયેલી છે અને બધે જ એમની પ્રતિભા સમર્થપણે વિહરે છે. એમનો વિપુલ ગ્રંથભંડાર વિશાળ જ્ઞાનકોશ જ લાગે. એમની કૃતિઓ એટલી બધી છે કે કોઈ એક વ્યક્તિ આજીવન નહિ બલકે કેટલીય વ્યક્તિઓ એકસાથે મળીને જીવનભર સંશોધન કરે એટલું રચના સામર્થ્ય એમાં છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું ગંભીર જ્ઞાન, ઉચ્ચ સાધુતા, સ્વ-પરશાસ્ત્રોમાં પારંગતતા, વ્યવહારકુશળતા અને રાજનૈતિક દક્ષતા દષ્ટિગોચર થાય છે. એમણે વિદ્વત્તા સાથેની સાધુતાની ઊંચી કિંમત અંકાવી છે.
આથી જ ડૉ. પિટર્સને એમનાં જીવનકાર્ય વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં શ્રી હેમચંદ્રાચાર્યને જ્ઞાનનો મહાસાગર (Ocean of Knowledge) કહ્યા હતા. પં. બેચરદાસ દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને જીવંત શબ્દકોશ' કહીને અંજલિ આપે છે. તો મુનિ પુણ્યવિજયજી એમની સર્વધર્મસમભાવ અને અનેકાંત દષ્ટિને જોઈને તેમને સ્યાદ્વાદવિજ્ઞાનમૂર્તિ તરીકે ઓળખાવે છે. કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુ જેવા ગુજરાતના પ્રથમ પંક્તિના સર્જકોએ પણ એમની સાહિત્યોપાસનાને ભવ્ય અંજલિ અર્પી છે. શ્રી કનૈયાલાલ મુનશી શ્રી હેમચંદ્રાચાર્યની ગુજરાતના સાહિત્યસ્વામીઓના, શિરોમણિ અને ગુજરાતની અસ્મિતાનો પાયો નાખનાર જ્યોતિર્ધર' તરીકે ઓળખ આપે છે, જ્યારે શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રકાર શ્રી ધૂમકેતુ એમને હરકોઈ જમાનાના મહાપુરુષ તરીકે આદર આપે છે.
કેટલાકે શ્રી હેમચંદ્રાચાર્યને સિદ્ધસેન દિવાકર અને આર્ય સુહસ્તિના અનુગામી તરીકે જોયા છે, તો કોઈએ એમની સાહિત્યસેવાને અનુલક્ષીને બીજા પતંજલિ, પાણિનિ, મમ્મટ, પિંગલાચાર્ય, ભઢિ કે અમરસિંહ કોશકાર તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો છે. જુદાં જુદાં ક્ષેત્રની એમની સિદ્ધિને માટે એમણે જુદાં જુદાં વિશેષણો પ્રયોજ્યાં છે. છેવટે કાલિકાલસર્વજ્ઞ કહીને આ એક વિશેષણમાં બધાં વિશેષણોનો સમાવેશ કરવામાં આવ્યો. જોકે, દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરી તો કહે છે કે કલિકાલસર્વજ્ઞ કરતાં પણ વધુ ઉચ્ચતા દર્શાવતું વિશેષણ વાપરો તો પણ તેમાં સહજે અતિશયોક્તિ કહેવાશે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org