________________
વડોદરાનાં જિનાલયો
(૧) શ્રી શાંતિનાથ ગૃહ ચૈત્ય
સારણેશ્વર મહાદેવનો ખાંચો, નરસિંહજીની પોળ.
એમ. જી. રોડ પર નરસિંહજીની પોળમાં સારણેશ્વર મહાદેવના ખાંચામાં શ્રી રમેશભાઈ શાંતિલાલ ફૂડગરના મકાનમાં બીજા માળે ઘરદેરાસર બનાવવામાં આવેલ છે.
જર્મન સિલ્વરથી જડિત કાષ્ઠની છત્રી છે. જેની ઉપર નાના શિખરની રચના કરવામાં આવી છે. છત્રીના ભાગમાં દ્વારપાળ તથા હાથીની કૃતિઓ છે. છત્રીના થાંભલા ઝીણી કોતરણી તથા પોપટ અને નારીઓની શિલ્પાકૃતિઓથી શોભાયમાન છે. આ દેરાસરમાં એક ચોવીસી પ્રતિમા સહિત કુલ ૪ ધાતુપ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૩" ની પ્રતિમા બિરાજમાન છે. આ ઉપરાંત શ્રી ઘંટાકર્ણ મહાવીરની કાષ્ઠની પ્રતિમા પણ છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમામાં નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે.
સંવત ૧૫૨૫ વર્ષે વૈશાખ વદ ૧ ગુરુ શ્રી શ્રીમાલ જ્ઞાતીય શ્રે. પાસડ સુત પિતૃ રા. સંઈ સું. લખમાં ભાર્યા સાધુ સું. મહઈરાજ રૂડા ગણપતિ યુતેન શ્રી શાંતિનાથ મુક્ષ ચતુર્વિંશતિ પટઃ કારિતઃ શ્રી પૂર્ણિમાં ગચ્છીય શ્રી સાધુરત્નસૂરિ પટ્ટે શ્રી સાધુસુંદર સૂરિણામુપદેશેન પ્રતિષ્ઠિતઃ વિધિના ધંધૂકા વાસ્તવ્યઃ”
શ્રી વાસુપૂજયસ્વામીની પ્રતિમા પર વિ. સં. ૧૫૨૮માં શ્રી લક્ષ્મીસાગરસૂરિ દ્વારા તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર વિ. સં. ૧૫૧૧માં તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિના પ્રશિષ્ય શ્રી રત્નશેખરસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ વંચાય છે.
શ્રી રમેશભાઈ ચૂડગર આ ઘરદેરાસરનું સંચાલન સુંદર રીતે કરે છે. તેઓ દેરાસરની સ્વચ્છતા અને સુંદર વ્યવસ્થા જાળવે છે. તેઓના જણાવ્યા મુજબ અત્રે આ દેરાસર ઘણા સમયથી છે. જો કે પ્રતિષ્ઠા અંગે નિશ્ચિત સમય તેઓ જાણતા નથી.