________________
૧૯૪
વડોદરાનાં જિનાલયો કુલ ૧૨ પાષાણ પ્રતિમાઓ, ૨૬ ધાતુ પ્રતિમાઓ અને ૧ ધાતુના ચૌમુખજી બિરાજમાન છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૪ છે. આ દિવસે ધ્વજારોપણનો મહોત્સવ થાય છે. તે માટે ચઢાવો બોલવામાં આવે છે. આ દિવસે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે અને પ્રભાવના થાય છે.
હાલ ૩૦ કુટુંબની વસ્તી ધરાવતાં આ ગામમાં એક શ્રાવકાનો અને એક શ્રાવિકનો એમ બે ઉપાશ્રય છે. જ્ઞાનભંડાર છે તથા પાઠશાળા ચાલે છે જેમાં ૧૦ થી ૧૫ વિદ્યાર્થીઓ, ધાર્મિક અભ્યાસ કરે છે.
દેરાસર, ઉપાશ્રય અને પાઠશાળાનો સમગ્ર વહીવટ શ્રી જંબુસર જૈન શ્વે. મૂ. પૂ. સંઘના હસ્તક છે. છેલ્લા ૫૦ વર્ષમાં ગામની ૨૦ વ્યક્તિઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
ઐતિહાસિક સંદર્ભ શ્રી દાનવિજયજી મ. સા. દ્વારા લલિતાંગ રાસની રચના વિ. ૧૭૬૧માં માગશર વદ - ૧૦ના રોજ જંબુસર મુકામે કરવામાં આવી. રાસની કડીમાં લખેલ છે.
સત્તરસે ઈકસઠિ માગશિર, વદિ દશમી રવિવાર રે, શ્રી વિજયમાનસૂરીશ્વર રાજયે, રચ્યો એ જયકાર રે, શ્રી જંબુસર નગર અનોપમ, જિહાં પદ્મપ્રભ દૈવ રે, શ્રાવક બહુ તિહાં સમકિતના સિકરે દેવગુરુ સેવ રે, ”
આ પરથી અનુમાન કરી શકાય કે જંબૂસર મુકામે શ્રી પદ્મપ્રભુસ્વામીનું આ જિનાલય સં. ૧૭૬૧માં વિદ્યમાન હતું.
પ્રેમવિજય અને રત્નવિજયના શિષ્ય દીપરાજ કવિએ “અડસઠ આગમની અષ્ટપ્રકારી પૂજા”ની રચના જંબુસર મુકામે વિ. સં. ૧૮૮૬માં કરી હતી.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૩૧ પાષાણ પ્રતિમાઓ તથા ૩૫ ધાતુ પ્રતિમાઓ હતી. સંવત ૧૮૩૨માં આ દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ થયો છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. અહીં ૨૪ પાષાણ પ્રતિમાઓ તથા ૨૬ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ ડાહ્યાભાઈ ગોરધનદાસ તેનો વહીવટ કરતાં હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૭૬૧ પૂર્વેનો છે.