________________
૧૯૦
વડોદરાનાં જિનાલયો
ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૮ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૧૦ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ હતી. શેઠ વેલજીભાઈ સુરજીભાઈએ ૧૮૭૭માં આ દેરાસર બંધાવ્યું હતું. તેનો વહીવટ શેઠ રતીલાલ છગનલાલ કરતાં હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખ સંવત ૧૮૬૯નો ઉલ્લેખ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૮૭૭નો છે.
ગામ - આમોદ તાલુકો - આમોદ. ૪૧. શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય (સં. ૧૯૯૩ પૂર્વે ) આમોદમાં આવેલ સરીયા પોળમાં શ્રી મુનિસુવ્રતસ્વામી દેરાસર આવેલું છે. આ એક શિખરબંધી, આરસમઢિત નૂતન દેરાસર છે. આ દેરાસરની સ્થિતિ સારી છે. સંવત ૨૦૩૩માં આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે.
આઠ પગથિયાં ચઢીને લોખંડની જાળીથી સુરક્ષિત ઓટલા પર સુંદર પૂતળીઓ જોવા મળે છે. ઉપરની દિવાલ પર બાહુબલીજી અને બ્રાહ્મી-સુંદરી ઊભેલાનું ચિત્ર છે.
એક સાદું લાકડાનું પ્રવેશદ્વાર છે જેની આજુબાજુની દિવાલ પર બે દ્વારપાળ ચિતરેલાં છે. અન્ય બે બાજુએથી પણ અન્ય બે પ્રવેશદ્વારવાળો રંગમંડપ છે. રંગમંડપમાં જમણી બાજુની દિવાલ પર શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર તીર્થનો પટ પત્થર વડે ઉપસાવેલ છે. ઉપર ઘુમ્મટમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના ભવ અને જીવનચરિત્રનાં ચિત્રો બનાવ્યાં છે. ચારેબાજુ પરીઓ અને પૂતળીઓ બેસાડેલ છે. ગોખમાં શ્રી મહાલક્ષ્મી દેવી અને શ્રી યક્ષની મૂર્તિ બિરાજમાન છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની પાષાણ પ્રતિમા ૧૭" ની છે. આરસના પબાસન પર નીચે અને ઉપર પાસ-પાસે ભગવાન પ્રતિષ્ઠિત છે. ગભારામાં કુલ ૧૧ પાષાણ પ્રતિમાઓ તથા ૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. બાજુમાં દેરાસરની બહાર એક દેવકુલિકામાં ૧ ચૌમુખજી છે અને પાછળ પબાસનમાં ૨ પાષાણ પ્રતિમાઓ તથા ૧૦ ધાતુ પ્રતિમાઓ છે. આરસનું નાનું સુંદર સમવસરણ બનાવેલ છે. બહાર શ્રી કદમ્બગિરિ તીર્થનો પટ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ પોષ વદ ૫ છે. તે નિમિત્તે ધ્વજારોપણનો મહોત્સવ થાય છે તે માટે ચઢાવો બોલવામાં આવે છે. આ દિવસે જમણવાર થાય છે અને પ્રભાવના થાય છે.