________________
૧૫૬
વડોદરાનાં જિનાલયો
૬. શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું ગૃહ ચૈત્ય
- પ્રીતમ સોસાયટી, ભરૂચ ભરૂચમાં આવેલી પ્રીતમ સોસાયટીના વિભાગ-૧ના બંગલા નંબર ૨૭માં શ્રી ભરતભાઈ શ્રોફના ત્યાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું ઘરદેરાસર આવેલું છે. બંગલાના કમ્પાઉન્ડમાં જ ડાબી બાજુના ખૂણા પર એક નાની રૂમ બનાવીને ભગવાન પ્રતિષ્ઠિત કરેલા છે. આ ધાબાબંધી દેરાસર છે.
ગર્ભદ્વાર એક છે. મૂળનાયક ભગવાન શ્રી ગોડીજી પાર્શ્વનાથની ૨૫" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે તથા ર ધાતુની પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાન આરસના પબાસન પર બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર મૂર્તિલેખ નીચે મુજબ છે.
“સંવત ૧૮૫૬ વૈશાખ સુદ ૬ વાર બુધ વિજય આનંદસૂરિ રાજયે જબુસરવાસી મેવાડ જ્ઞાતિ સાતે-જી-જોગીદાસ સુત મોતીચંદ શ્રી ગોડી પાર્શ્વનાથ બિંબ કારાપિત શ્રી ખુશાલ વિજયેન પ્રતિષ્ઠિત. "
દેરાસરની વર્ષગાંઠ તિથિ આસો સુદ ૨ છે. તે દિવસે પૂજા ભણાવાય છે અને પ્રભાવના પણ થાય છે.
૭. શ્રી શાંતિનાથ ભગવાનનું ગૃહ ચૈત્ય
પ્રીતમ સોસાયટી, ભરૂચ. ભરૂચમાં આવેલી પ્રીતમ સોસાયટીના ૨ નંબરના બંગલામાં આ એક માળનું આરસનું ધાબાબંધી ઘરદેરાસર આવેલું છે. એક ખૂણામાં અષ્ટ ખૂણાકાર આ દેરાસરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૧" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. આરસના મોટા ગોખલામાં નાના પબાસન પર ભગવાન પધરાવેલ છે. દેરાસરમાં ૧ પાષાણની, ૪ ધાતુની મૂર્તિઓ બિરાજમાન છે. દેરાસરના સ્થાપના વર્ષ તથા વર્ષગાંઠ દિવસની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
પ્રતિષ્ઠાનો લાભ લેનાર સ્વ. શ્રી લક્ષ્મીચંદભાઈ હતા. તેમણે જ આ ઘરદેરાસર બનાવડાવેલું. પરંતુ તેઓ તથા તેમના પુત્રના અવસાન બાદ તેમનાં પત્ની અજૈન હોવાથી હાલ દેરાસરની સાચવણી પ્રીતમ સોસાયટીના બંગલા નં. ૧માં રહેતા શ્રી કેસરીચંદભાઈના પુત્ર કરે છે. પરંતુ તેમની પાસે દેરાસરની ઐતિહાસિક કે હાલની કોઈ જ માહિતી નથી એમ શ્રી કેસરીચંદભાઈએ જણાવ્યું છે.
દેરાસરની સ્થિતિ સારી છે.