________________
ભરૂચ જિલ્લાનાં જિનાલયો
૧. શ્રી આદિનાથ જિનાલય શ્રીમાળી પોળ., ભરૂચ.
ભરૂચની શ્રીમાળી પોળમાં શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય આવેલું છે. આ શિખરબંધી પશ્ચિમાભિમુખ ભવ્ય જિનાલયનો મુખ્ય દરવાજો કંસારા પોળ મધ્યે આવેલ શ્રી અનંતનાથ ભગવાનના જિનાલયના પરિસરમાં પડે છે. દેરાસર આરસ અને પત્થરથી બનેલું છે.
દેરાસરની ફરતે આવેલી ખુલ્લી જગામાં કેસર-સુખડ રૂમ છે અને સામે શ્રી ચક્રેશ્વરી દેવીની દેરી છે તેમાં બીજી મૂર્તિ શ્રી અચ્યુતા દેવીની છે.
કંસારા પોળમાં આવેલ મુખ્ય દરવાજેથી લોખંડની જાળીવાળા ઝાંપામાંથી પ્રવેશતાં બે બાજુ દ્વારપાળની આકૃતિ છે. ત્રણેક પગથિયાં ચઢી પાંચ પ્રવેશદ્વારવાળો રંગમંડપ છે.
રંગમંડપમાં કાષ્ઠના સ્તંભો, કાષ્ઠની કમાનો, ઘુમ્મટની ફરતે સુંદર કોતરણીયુક્ત કિનારો, સ્તંભો ઉપર વાજિંત્રો વગાડતાં નર-નારીનાં શીલ્પો, કમાનોની વચ્ચે ઉપર સુંદર રંગોથી ચિત્રિત શીલીંગો, ચારે બાજુ ગોઠવેલ અરીસાથી રંગમંડપ દીપી ઉઠે છે. રંગમંડપના ઘુમ્મટમાં ભગવાનનાં જીવનચરિત્રોનાં ચિત્રાંકન છે. ગોખલામાં શ્રી સિદ્ધિવિજયજી મ. સા. ની આરસની પ્રતિમા છે.
જર્મન-સિલ્વર સહિત ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મધ્ય ગર્ભદ્વાર મધ્યે મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૩૭" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં ૧૦ પાષાણ પ્રતિમાઓ, ૨૫ ધાતુ પ્રતિમાઓ, ૧ ધાતુના ચૌમુખજી અને ૩ સ્ફટિકની પ્રતિમાઓ બિરાજમાન છે. ગભારામાં થોડું કાચકામ કરેલું છે.
દેરાસ૨ની પુનઃપ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪૫ના અષાઢ સુદ ૧૦ના રોજ થઈ હતી. દેરાસરનો જીર્ણોદ્ધાર શ્રી અનોપચંદ મુલચંદ શેઠે કરાવ્યો હતો. મહા સુદ ૧૩ના દિવસે શ્રીમાળી પોળના દરેક દેરાસરમાં ધ્વજારોપણ મહોત્સવ થાય છે.