________________
નિવેદના
T
એમ. એ.ના અભ્યાસની પૂર્ણાહુતિ પછી જૈનસાહિત્ય અંગે સંશોધન કરવું એવું પૂજ્ય પિતાશ્રીનું સૂચન હતું. મારા અંતરમાં રહેલી સાહિત્ય અને ધર્મપ્રીતિએ આ સૂચનને અમલમાં મૂકવા પ્રેરિત કર્યો. મુંબઈ વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. નીતિન મહેતાએ મધ્યકાલીન સાહિત્યના પ્રખર વિદ્વાન શ્રી જયંત કોઠારીને માર્ગદર્શન માટે મળવાનું સૂચન કર્યું. શ્રી જયંતભાઈએ યુનિવર્સિટીના નિયમોને કારણે પોતે નિવૃત્ત થયા હોવાથી વિધિવત્ માર્ગદર્શક નહિ બની શકે એમ જણાવ્યું. તેમ છતાં તેમણે ચોવીશી-સ્વરૂપનો અભ્યાસ કરવા માટે મૂલ્યવાન દિશાસૂચન કર્યું. બાળપણથી જ યશોવિજયજી, આનંદઘનજીની ચોવીશીઓ માટે આકર્ષણ તો હતું જ, તેમના સૂચન પછી કેટલીક ચોવીશીઓનું વાચન કર્યું. આ વાચને અનુભવાયું કે, ચોવીશીમાં કાવ્યતત્ત્વની રમણીયતા છે, ભક્તિની આર્દ્રતા છે. તેની સાથે જ જ્ઞાન અને ભક્તિનો ભવ્ય સુમેળ પણ સધાયો છે. તેથી આ વિષય પર કાર્ય કરવાનું નિશ્ચિત કરી ડૉ. દેવબાલા સંઘવીના માર્ગદર્શન હેઠળ શોધકાર્યનો આરંભ કર્યો. આ નિમિત્તે વિરાટ ભક્તિ-સાહિત્યના એક મહત્ત્વપૂર્ણ અંશનો અભ્યાસ કરવાની તક મળી, એ માટે મારી જાતને હું ભાગ્યશાળી માનું છું. - આ કાર્ય માટે પ્રોત્સાહન આપનાર ધર્મસંસ્કારદાતા પૂજ્ય પિતાશ્રી તથા માતાજીના ચરણોમાં વંદન કરું છું અને સાથ-સહકાર આપનાર કુટુંબના સર્વ સભ્યોનો આભાર માનું છું. પરમ વિદ્વાન શ્રી જયંત કોઠારી કે જેમનાં સ્નેહ અને સૂચનો આ શોધપ્રબંધ માટે ખૂબ મૂલ્યવાન છે, તેમના પ્રતિ કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું તેમજ ડૉ. દેવબાલા સંઘવીના પ્રેમાળ પ્રોત્સાહન અને માર્ગદર્શનને કારણે જ આ કાર્ય પૂર્ણ સ્વરૂપ લઈ શક્યું છે માટે તેમનો અંતઃકરણપૂર્વક ઋણસ્વીકાર કરું છું.
આ સમગ્ર શોધપ્રબંધના કાર્યમાં સૂચન આપનારા તેમજ અન્ય રીતે સહાયક થનારા પ. પૂ. આચાર્યદેવશ્રી પ્રદ્યુમ્નસૂરિ, યશોવિજયસૂરિ, જયસુંદરસૂરિ, અશોકસાગરસૂરિ, મુનિ નેત્રાનંદવિજયજી, સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી, પ્રજ્ઞપ્તાશ્રીજી આદિ સર્વ ગુરુભગવંતોનો વંદનાસહિત આભાર માનું છું.
સતત પ્રોત્સાહન આપનાર અને આદિથી અંત સુધી અનેક રીતે સહાયરૂપ થનાર ડૉ. નીતિન મહેતાના વાત્સલ્યને કઈ રીતે ભૂલી શકાય ? તેમના પ્રતિ તેમજ આ કાર્યમાં સહાયરૂપ થનાર સાથી પ્રધ્યાપકો પ્રા. અશ્વિન મહેતા, પ્રા. પ્રબોધ પરીખ, ડૉ. કલા શાહ, પ્રા. ઉર્વશી પંડ્યા, ડૉ. ગુલાબ દેઢિયા, વડીલો શ્રી વિનુભાઈ શાહ, દિલીપભાઈ શાહ, મિત્રો શ્રી અવનીશ ભટ્ટ, પલ્લવ છેડા, દીપક દોશી, અનિલ શાહ, જિમિત મલ તેમજ બહેન શ્રીમતી સાધના સુરેશ કોઠારી અને તેમના પરિવારના સદસ્યો આદિ સર્વ અને જેનો નામોલ્લેખ કરવાનું કોઈ કારણોસર રહ્યું હોય પરંતુ આ શોધ કાર્યમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સહાયક થયા હોય તે સર્વ પ્રત્યે હાર્દિક આભારની લાગણી અભિવ્યક્ત કરું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org