________________
ઉજજયન્તગિરિનાં જિનમંદિરો
વિધર્મી આક્રમણો અને ઉદ્ધારો ઈ. સ. ૧૩૦૫માં સોમનાથ અને ઈ. સ. ૧૩૧૩માં શત્રુંજયગિરિ પર થયેલા મુસ્લિમ આક્રમણ સમયે કદાચ જૂનાગઢ અને ગિરનાર બચી ગયાં હશે, કેમ કે ૧૪મી શતાબ્દીમાં તો ત્યાં પુનરુદ્ધાર થયા સંબંધી નોંધો કે શિલાલેખો મળતા નથી. પણ ૧૫મા શતકમાં, ઓછામાં ઓછું ઈ. સ. ૧૪૩૮થી, ઉદ્ધારો શરૂ થાય છે, જે તપૂર્વે થયેલ અમદાવાદના સુલ્તાનનાં (અહમદશાહનાં) આક્રમણોને કારણે હશે. ૧૫માં શતકમાં બંધાયેલાં મંદિરો પણ ફરીને ઈ. સ. ૧૪૬૯-૭૦ના મહમૂદ બેગડાના આક્રમણ સમયે ખંડિત થયાનું ને પછી છેક શહેનશાહ અકબરના જમાનામાં પુનરુદ્ધાર થયાનું જણાય છે. બેગડાના આક્રમણ પછી ચૂડાસમા વંશનું જૂનાગઢમાંથી થયેલું ઉન્મેલન, જૂનાગઢમાં સ્થપાયેલ ઈસ્લામી શાસન (અને તેનું પહેલું “મુસ્તફાબાદ” નામ) ઈત્યાદિ કારણોને લઈને સોએક વર્ષ બાંધકામો બંધ રહ્યાં લાગે છે. આ પછી કર્મચંદ્ર બચ્છાવત, જામનગરના અંચલગચ્છીય શ્રેષ્ઠી બંધુ વર્ધમાનસાહ અને પદ્મસિંહ સાહ, ઈત્યાદિ પ્રભાવશાળી શ્રાવકોએ એક પછી એક ઉદ્ધાર કરાવ્યા છે, જે આધુનિક કાળે કચ્છના શ્રેષ્ઠી કેશવજી નાયકથી લઈ આજ દિવસ સુધી ચાલુ છે.
અનુપૂર્તિ વસ્ત્રાપથક્ષેત્ર :
ગિરનારની તળેટીથી લઈ લગભગ ઉપરકોટની પૂર્વમાં જ્યાં સોનરખ નદી મરડાય છે ત્યાં સુધીનું ક્ષેત્ર વસ્ત્રાપથક્ષેત્ર' કહેવાતું હતું અને તેનું સ્કન્દપુરાણ અંતર્ગત “પ્રભાસખંડ”માં ખૂબ માહાભ્ય કહ્યું છે. તેમાં કેવળ બ્રાહ્મણીય તીર્થો જ હતાં; અને એક પણ જૈન મંદિર તેમાં નહોતું. જેમ ગિરનાર પરથી અદ્યાવધિ એક પણ બ્રાહ્મણીય અભિલેખ કે શિલ્પ પ્રાપ્ત નથી થયાં તેમ વસ્ત્રાપથ”માંથી એક પણ જૈન લેખ કે પ્રતિમાદિ મળ્યાં નથી. પણ અહીંના બ્રાહ્મણ સંપ્રદાયનાં મંદિરોમાંથી ગિરિ-દામોદર, હરિ-દામોદર અને કાલમેઘનો ઉલ્લેખ વિજયસેનસૂરિ કરે છે. તેમના કથન અનુસાર મંત્રીશ્વર વસ્તુપાળે કાલમેઘ ક્ષેત્રપાળ અનુલક્ષમાં કંઈક રચના કરાવેલ. (નરેન્દ્રપ્રભસૂરિ તેમજ જિનહર્ષગણિ અનુસાર ત્યાં તેજપાળે આશ્વિન મંડપ ઉમેરેલો.) નરેન્દ્રપ્રભસૂરિ અહીં રહેલ ભવનાથના પુરાતન મંદિરનો તેજપાળ મંત્રીએ ઉદ્ધાર કરાવ્યાનો વિશેષ ઉલ્લેખ કરે છે. ૧૫માં શતકની એક ચૈત્યપરિપાટીમાં વસ્તુપાળે દામોદરકુંડનાં પગથિયાં કરાવેલાં તેવો ઉલ્લેખ છે, પણ વસ્ત્રાપથમાં જૈન મંદિર હોવાનું કોઈ જ જૈન લેખકો કહેતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org