________________
૨૨
ખરતરવસહી
નેમિનાથની જગતીના ઉત્તર દ્વારેથી હેઠે ઊતરતાં સૌથી મોટું પહેલું મંદિર જે મળે છે તે ‘‘મેલકવસહી’’ કે ‘‘મેરકવસહી’’ નામે આજે ઓળખાય છે; પણ આ અભિધાન ભ્રમમૂલક છે, કેમકે જે બેએક ચૈત્યપરિપાટીકારો ‘‘મેલાગર’’ અપરનામ ‘‘મેલાસાહ’'ના મંદિરની વાત કરે છે, તે મંદિર તો તેમના કહેવા પ્રમાણે ધરમનાથ(જિન ધર્મનાથ)નું અને કેવળ નાની દેરી રૂપે જ હતું. અને તે પણ નેમિનાથની જગતીના પૂર્વદ્વાર પાસે કયાંક હશે તે રીતે ઉલ્લેખ કરે છે; જ્યારે આ કહેવાતી ‘‘મેલકવસહી’’ તો મોટું બાવન જિનાલય છે અને તે અષ્ટાપદ અને સમ્મેતશિખરનાં ભદ્રપ્રાસાદો, ગૂઢમંડપ, અને રંગમંડપની રચનાઓ ઉપરાંત ‘‘પંચાંગવીર’’ અને ‘‘નાગબંધ’’ ઇત્યાદિ કોતરણીવાળી છતો ધરાવતું સુંદર શોભાયમાન મંદિર છે. ૧૫મા શતકના ઉત્તરાર્ધના ચૈત્યપરિપાટીકારો આ મંદિરનું ખૂબ હોંશપૂર્વક અને વિગતે વર્ણન કરે છે, જે સર્વ રીતે વર્તમાન મંદિર સાથે મળી રહે છે : અને ત્યાં તો તેમણે સૌએ આ મંદિરને સ્પષ્ટતયા “ખરતરવસહી’' કહ્યું છે, અને તેના નિર્માતા તરીકે નરપાલ સંઘવીનું નામ આપ્યું છે. આ મંદિરની નિર્માણ-મિતિ ખરતરગચ્છના ઉપાધ્યાય જયસોમ સ્વરચિત ‘‘જયસાગરોપાધ્યાય-પ્રશસ્તિ''માં સં૰ ૧૫૧૧ (ઈ. સ૰ ૧૪૫૫) આપે છે, પરંતુ રાણકપુરના ગિરનારવાળા સં૰ ૧૫૦૭(ઈ સ૰ ૧૪૫૧)ના પટ્ટમાં પણ ખરતરવસહી બતાવવામાં આવી હોઈ, પ્રસ્તુત મંદિર તે પૂર્વે બંધાઈ ચૂકયું હોવું જોઇએ. શૈલીની દૃષ્ટિએ જેની મિતિ નિશ્ચિત થઈ શકે તેવા ૧૫મા શતકમાં બંધાયેલ ગિરનાર પરનાં અન્ય જિનમંદિરો સાથે સરખાવતાં આ મંદિર ઈ. સ૰ ૧૪૩૮ આસપાસ બંધાયું હશે તેમ લાગે છે. આ મંદિર વિષે બીજી એક ખોટી કિંવદંતી, (જે સાંપ્રતકાલીન જૈન લેખકો અન્વેષણ કર્યા વગર લખ્યું જ રાખે છે તે) એ છે કે સજ્જનમંત્રીએ ટીપ કરીને તૈયાર રાખેલું નેમિનાથ મંદિરના નિર્માણ-ખર્ચ જેટલું દ્રવ્ય સિદ્ધરાજે ગ્રહણ ન કરતાં તેનો ઉપયોગ આ મંદિર બાંધવામાં થયો હતો; પણ કોઈ જ સમકાલિક-ઉત્તરકાલિક ઉલ્લેખ આ વાતનું સમર્થન કરતો હોવાનું જ્ઞાત નથી : અને મંદિરની શૈલી તો સ્પષ્ટત: ૧૫મા સૈકાની છે. મોટે ભાગે આ પૂર્વે અહીં વસ્તુપાલ કારિત સત્યપુરાવતાર મહાવીરનું મંદિર હતું.
ઉજ્જત્તગિરિનાં જિનમંદિરો
મંદિરના ગભારામાં વર્તમાને સં૰ ૧૮૫૯(ઈ સ૰ ૧૮૦૩)માં વિજયજિનેન્દ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત સહસ્રર્ણપાર્શ્વનાથ મૂલનાયક રૂપે બિરાજમાન છે; પણ ૧૫મા શતકમાં તો તેમાં સ-તોરણ સોવનમયવીરની (પિત્તળની સોનાથી રસેલી) પ્રતિમા મૂલનાયકરૂપે પ્રતિષ્ઠિત હતી : અને તેની આજુબાજુ શાંતિનાથ અને પાર્શ્વનાથની પિત્તળની કાયોત્સર્ગ પ્રતિમાઓ હતી તેવું ચૈત્યપરિપાટીઓ પરથી જણાય છે. (આ પ્રતિમા સંપ્રતિકારિત હોવાનું રાવરાજ સંઘવીવાળા પરિપાટીકાર કહે છે, જે અલબત્ત એમના યુગની કિંવદંતી માત્ર છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org