________________
ઉજ્જયન્તગિરિનાં જિનમંદિરો
સંઘસહ વાંદવા આવેલા. આ પછીનામાં સૌથી મહત્ત્વની સંઘ-યાત્રાઓ(સં. ૧૨૪૯ / ઈ. સ ૧૧૯૩)થી પ્રારંભાયેલી અને સં. ૧૨૭૭ (ઈ. સ૰ ૧૨૨૧)થી વિશેષ રૂપે થયેલી, તે મંત્રીશ્વર વસ્તુપાલ અને તેમના બંધુ તેજપાલની હતી. સજ્જનમંત્રી પછી ગિરનાર પર મોટાં મંદિરો બાંધવાની પહેલ પણ તેમણે જ કરેલી. સં. ૧૨૮૧-૧૨૮૬(ઈ. સ. ૧૨૨૫-૧૨૩૦)ના ગાળામાં મંત્રીશ્વરે નેમિનાથના મંદિરના પાછળના ભાગમાં પ્રશસ્તિ સહિત અને બે પૂર્વજ મૂર્તિસમેત કાશ્મીરાવતાર સરસ્વતી દેવી, આદિનાથ, સ્તંભનપુરાવતાર-પાર્શ્વ તેમ જ સત્સ્યપુરાવતાર-વીરનાં મંદિરો કરાવેલ; અને તે પછી તુરતના કાળમાં, સં ૧૨૮૮(ઈ. સ૰ ૧૨૩૨)માં, મંત્રીશ્વરે “વસ્તુપાલ વિહાર’’ નામક શત્રુંજયાવતાર શ્રી યુગાદિદેવનું મંદિર, અષ્ટાપદ અને સમ્મેતશિખર મંડપો સહિતનું, કરાવ્યું : અને તેના પૃષ્ઠ ભાગે કપદીયક્ષ અને જિનમાતા મરુદેવીનાં મંદિરો કરાવેલાં; જ્યારે બંધુ તેજપાળે ‘‘કલ્યાણત્રય’’ કે ‘‘કલ્યાણત્રયી’' સંજ્ઞક ભગવાન નેમિનાથનું ઉન્નત ચૈત્ય કરાવેલું. ત્યાર બાદ પ્રશસ્તિ લેખો અને પ્રતિમા લેખના સંયુકત પ્રમાણાનુસાર સં. ૧૩૦૫(ઈ. સ. ૧૨૪૯)માં મંત્રીશ્વર ઉદયનના પુત્ર ચાહડના પ્રપૌત્ર દંડનાયક સલક્ષણસિંહે નેમિનાથના ભવનના અગ્રભાગમાં પાર્શ્વનાથનો ઉત્તુંગ પ્રાસાદ બંધાવેલો. આ કાળ પછી અહીં કચ્છકેસરી દાનવીર સાહ જગડુ, અને તે પછી તુરતમાં માલવ મંત્રી પેથડે યાત્રા કરેલી. (૧૫મા શતકમાં રચાયેલા તપાગચ્છીય રત્નમંડનગણિના સુકૃતસાગર અનુસાર પેથડ મંત્રી આવ્યા ત્યારે દિલ્હીથી બાદશાહમાન્ય દિગંબર શ્રેષ્ઠી પૂર્ણ પણ સંઘ લઈ આવેલા, અને બન્ને સંઘોમાંથી કોણ તીર્થમાળા પહેરે તેનો વાદ થતાં ઉછરામણી થઈ. તેમાં અતે મંત્રી પેથડે માળા પહેરેલી. ) આ પછી સં૰ ૧૩૨૦(ઈ. સ૰ ૧૨૬૪)માં પ્રસ્તુત મંત્રી ઝાઝણ (તપાગચ્છીય ધર્મઘોષસૂરિ સાથે) યાત્રાર્થે આવેલા. કાલક્રમમાં આ ઘટના પછી સં ૧૩૨૬(ઈ. સ. ૧૨૭૦ )માં ખરતરગચ્છીય યુગપ્રધાનાચાર્ય જિનેશ્વરસૂરિ (દ્વિતીય). જિનરત્નસૂરિ, ઇત્યાદિ આચાર્યો સાધુઓ તથા સંઘ સાથે આવેલા, તો સં૰ ૧૩૩૩(ઈ. સ. ૧૨૭૭)માં ખરતરગચ્છીય સુપ્રસિદ્ધ જિનપ્રબોધસૂરિ પણ સંઘ સાથે યાત્રા કરી ગયેલા; અને ત્યાર બાદ ખરતરગચ્છના અન્ય આચાર્ય જિનચંદ્રસુરિ (દ્વિતીય) સં૰ ૧૩૫૮(ઈ. સ. ૧૩૦૨)માં ગિરનાર પર પ્રતિષ્ઠાદિ કરી ગયેલા. સોલંકીયુગના અંતે કર્ણદેવ વાઘેલાના સમયમાં, સં. ૧૩૬૦(ઈ. સ. ૧૩૦૪)માં, સાંડરના સંઘપતિ પેથડ યાત્રાર્થે આવ્યાની નોંધ મળે છે.
૧૧
ઈસ્વીસનના ૧૪મા શતકમાં પણ અહીં કેટલીક મહત્ત્વપૂર્ણ તીર્થયાત્રાઓ થયેલી છે, જેમાં મુખ્ય છે સં૰ ૧૩૭૧(ઈ. સ. ૧૩૧૫)માં શત્રુંજયતીર્થનો ઉદ્ધાર કરાવ્યા બાદ, ત્યાંથી પાછા ફરતી વેળાએ જીર્ણદુર્ગ(જૂનાગઢ)ના સ્વામી ચૂડાસમા રા'મહિપાલદેવને ભેટીને સંઘ સાથે, ઉકેશગચ્છપતિ સિદ્ધસૂરિ સહ, થયેલી ઉકેશવાલ (ઓસવાલ) શ્રેષ્ઠી સમરાસાહની યાત્રા. તે પછી ૧૪મા શતકના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org