________________
તારંગાતીર્થ
મંડપની વચ્ચે ઊભા રહી ઉપર જોતાં તેનો મોટો કરાટક-વિતાન કિંવા સભા-પદ્મ-મંદારક જાતિની વિશાળ છત નજરે પડે છે (ચિત્ર ૩૪). તેમાં કર્ણદર્દરિકા ઉપરના કંઠમાં ચોકઠાંઓના સમૂહથી રચાતી ભાત અને વચ્ચે વચ્ચે ૧૬ વિદ્યાધરો કર્યા છે, જેના પર ૧૬ નૃત્યમગ્ન સુરસુંદરીઓની પૂતળીઓ ગોઠવી છે. વિદ્યાધરો પર ત્રણ ગજતાળુ અને ત્રણચતુર્ખાડી કોલના થર, પછી ૧૬ લૂમાઓનું વર્તુળ, અને છેવટે બે મુખ્ય કોલવાળું લંબન આવે છે. લગભગ ૨૫ ફીટના વ્યાસવાળા વિશાળ વિતાનનું લંબન કંઈ નહીં તોયે સાત કોલનું હોવું જોઈતું હતું, પણ તે ઓછા કોલનું હોઈ છીછરું અને પ્રમાણમાં નાનું દેખાય છે. તેના કોલ જાળીદાર હોઈ (ચિત્ર ૩૫) ૧રમાની નહીં પણ ૧૫મા સૈકાની પ્રથાનું સ્મરણ કરાવી જાય છે. ગૂઢમંડપની પશ્ચિમી ભીંતમાં ૧૩મા શતકના ગોખલો કરેલો છે (ચિત્ર ૩૨).
ગર્ભગૃહની દ્વારશાખામાં ખાસ નવીન કંઈ નથી. અંદર ૧૫મા શતકની (ઈ. સ. ૧૪૨૩). ગોવિંદ શ્રેષ્ઠીએ બિરાજમાન કરાવેલી ભૂલનાયક અજિતનાથ જિનની વિશાળકાય બેઠેલી મૂર્તિ છે. નીચે બાજુમાં બીજી કેટલીક ૧૩મા શતકની, પણ બહારથી લાવેલ આરસની ખગાસન મૂર્તિઓ છે.
પ્રાસાદનું મૂળ ગર્ભગૃહ તો બહારથી અંગઉપાંગવાળું હશે પણ જીર્ણોદ્ધારમાં તેનો સીધો ચોરસ કરી નાખ્યો છે; તેમાં નથી જંઘા, કે નથી ભદ્રના ગોખલા રહેવા દીધા : પણ કયાંક કયાંક ઉત્તરે આવી રહેલા, ખંડિયેર બની ગયેલા શિવાલયમાંથી આણેલી અગ્નિ આદિ દિકપાલોની, ૧૧મા શતકના પૂર્વાર્ધની, નાની મૂર્તિઓ ચોડી દીધી છે. (પ્રાકારના ઉત્તર તરફના પશ્ચાત્કાલીન દરવાજાના આગળ પાછળના મોવાડોમાં પણ આ જ શિવમંદિરના ભદ્રોની હોવી ઘટે તે ગણેશાદિ મૂર્તિઓ લગાવી દીધી છે.)
પ્રદક્ષિણામાં ભદ્રભાગની બે છતો ચિત્ર ૩૬ અને ૩૭માં રજૂ કરી છે. બન્ને સામાન્ય કોટીની છે.
મંડપના ઉપલા માળમાં, ભદ્રના ત્રણે ચોકીઆળાની અંદર, જીર્ણોદ્ધારકોએ જે મુગલાઈ કમાનો ઘુસાડી દીધેલી તે કાઢીને હાલના સુધારકામમાં ખંડવાળી જાળીઓ ભરી દેવામાં આવી છે. અંદર કરોટકની ઉપર અને સંવરણાના તળિયા ભાગે જીર્ણોદ્ધારમાંટેકણોરૂપી કદલિકાઓ(કેળો)ના ઊભા, પગથિયાંવાળાં, પટ્ટાઓ કર્યા છે (ચિત્ર ૩૮). અહીં થયેલો, આડસરાદિમાં કેગર લાકડાનો પ્રયોગ જૂના કાળનો મનાય છે.
હવે નીચે ઊતરીને, ફરીને ચોકીમાં પ્રવેશી, છેલ્લે જોઈએ મૂળે મંત્રીશ્વરની વસ્તુપાલની બે ગોખલા-દેરીઓમાં પછીના કાળે મૂકેલી, પણ અન્યથા કુમારપાળના સમયની બે મૂર્તિઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org