________________
६
ત્યારબાદ પાટણનાં પ્રત્યેક જિનાલયોનો ઇતિહાસ સ્વતંત્ર રીતે આપવામાં આવ્યો છે. તેતે સ્થળોનાં નામ, દેરાસરના નિર્માતાઓનો ઇતિહાસ, જિનાલયોની સ્થિતિ, પ્રતિમાજીઓની સંખ્યા અને વિશેષતાઓ વગેરેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે જે આ નગરના રહેવાસીઓ તથા બહારથી યાત્રાર્થે આવનારા ભાવિકોને ઉત્સાહપ્રેરક અને ભાવાભિવૃદ્ધિ કરનારું છે. તદુપરાંત જિનાલયોમાં ઉપલબ્ધ પ્રાચીન લેખો, પ્રતિમાલેખો અને અન્ય લેખો પણ આપવામાં આવ્યા છે જેનાથી ઇતિહાસ વધુ સ્પષ્ટ અને પ્રમાણભૂત બની શક્યો છે. કેટલાંક લેખો તો પ્રથમ વાર જ ઉકેલાયા છે.
ઐતિહાસિક દૃષ્ટિએ પાટણમાં ઘણું-ઘણું સચવાયું છે. અનેક હસ્તપ્રત કૃતિઓનો સંગ્રહ થયો છે. ઘણી દેવતામૂર્તિઓ, ગુરુમૂર્તિઓ, કલાત્મક કૃતિઓ અને કાષ્ઠશિલ્પ સચવાયાં છે. તેની આછેરી ઝલક પ્રાપ્ત થાય તે માટે અહીં તેના ફોટોગ્રાફ્સ પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફ્સથી પાટણના ભવ્ય ભૂતકાળનો સહજ ખ્યાલ આવશે જ. સાથે સાથે કલાવારસાને સુરક્ષિત રાખવાની ભાવના વધુ સતેજ બનશે તેવી આશા છે.
જિનાલયોનાં કોષ્ટકોમાં જિનાલયો સંબંધી માહિતી આપવામાં આવી છે. વિભિન્ન સંસ્થાઓ અંગેની માહિતીઓથી ગ્રંથ વધુ ઉપાદેય બન્યો છે. પરિશિષ્ટમાં આપવામાં આવેલ જુદી-જુદી ચૈત્ય પરિપાટીઓની સંખ્યા જ પાટણની તીર્થ તરીકેની ખ્યાતિનો ખ્યાલ આપે છે. જુદા-જુદા સમયે રચાયેલી ચૈત્યપરિપાટીઓ પાટણના તે-તે કાળના ઇતિહાસની નોંધ માટેનું એક સબળ સાધન છે. તેમાં તે-તે સમયે વિદ્યમાન જિનમંદિરો તેની વિશેષતાઓ અને અન્ય માહિતી માટેનું પ્રમાણભૂત સાધન છે. તેનો ઉપયોગ લેખનકાર્યમાં તો થયો જ છે. પરંતુ તે મૂળસ્વરૂપે પણ પ્રકાશિત કરવામાં આવી છે જેથી કોઈને પણ તેનો સંદર્ભ જોવો હોય તો સુલભ થઈ શકે.
પાટણમાં જુદાં-જુદાં વર્ષોમાં જિનશાસનની પ્રભાવનાનાં અનેક નાનાં મોટાં કાર્યો થતાં આવ્યાં છે. તેમાંથી જે મુખ્ય કાર્યો થયાં તેનો ખ્યાલ આવે તે માટે પાટણની તવારીખ પણ આપવામાં આવેલી છે. આમ આ ગ્રંથ ખરેખર પાટણમાં જૈનધર્મ વિશેની માહિતીનો સર્વ સંગ્રાહક ગ્રંથ બની શક્યો છે.
આ ગ્રંથના લેખક શ્રી ચંદ્રકાન્ત કડિયાએ ગ્રંથ તૈયાર કરવામાં ખૂબ જ મહેનત અને પ્રમાણભૂત માહિતી એકઠી કરવા માટે ભારે જહેમત ઉઠાવી છે તેમ જ ખૂબ જ ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ કરી આપ્યું છે તે માટે તેમની જેટલી અનુમોદના કરીએ તે ઓછી જ છે.
ગ્રંથ તૈયાર કરવા માટે સહયોગ કરનાર તમામનો આભાર માનવામાં આવે છે. ગ્રંથ પ્રકાશનમાં સહયોગ આપવા બદલ સંબોધિ સંસ્થાનનો પણ આભાર માનવામાં આવે છે.
ખંભાતનાં જિનાલયો ગ્રંથ અંગે આચાર્ય ભગવંતો તથા વિદ્વાનોના અભિપ્રાયો ઉપલબ્ધ થયા છે. તેમાંના કેટલાક ગ્રંથને અંતે રજૂ કરવામાં આવ્યા છે. આ ગ્રંથમાં કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો તે અંગે અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે જેથી બીજી આવૃત્તિમાં તે અંગે ખ્યાલ રાખી શકાય.
અનેક ઇતિહાસવેત્તાઓ અને જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઉપયોગી નીવડશે તેવી આશા છે. અને પાટણના પ્રત્યેક રહેવાસી માટે તો એક સંગ્રહણીય ગ્રંથ બન્યો છે. તેઓ પણ આ ગ્રંથને અવશ્ય આવકારશે.
જિતેન્દ્ર બી. શાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org