________________
પાટણનાં જિનાલયો
૩૩.
જમણી બાજુએ પણ અન્ય એક ગભારો છે જેમાં શ્રી સુપાર્શ્વનાથની ૩૧” ઊંચાઈ ધરાવતી પ્રતિમા મધ્યે બિરાજે છે. અહીંથી પણ આજુબાજુની શ્રી શાંતિનાથ તથા શ્રી વિમલનાથની બે આરસપ્રતિમા જોગીવાડાના શ્રી શામળા પાર્શ્વનાથના જિનાલયમાં પધરાવવામાં આવી છે. ઉપરાંત શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા પણ અન્ય એક ઠેકાણે પધરાવેલી છે. અહીં કુલ બે આરસપ્રતિમા તથા પંદર ધાતુપ્રતિમા છે.
રંગમંડપમાં ડાબી બાજુની દીવાલમાં એક નાનો ગોખ છે જેમાં એક નાગરાજની શિલ્પાકૃતિ છે. જાણે એક ફણા, ત્રણ શરીર જેવું દેખાય છે. તીર્થંકર પરમાત્માની પ્રતિમાના નવ અંગે જેમ પૂજા માટે ટીકા લગાવવામાં આવે છે તે રીતે આ રચના પર પણ નવ ટીકા લગાવવામાં આવ્યા છે. તેની તરત નીચેના ભાગમાં નાગરાજને વંદન કરતા બે મનુષ્યો બેઠેલા દેખાય છે. શ્રાવણ વદ પાંચમ (નાગપાંચમ)ના દિવસે અહીં મેળો ભરાય છે અને લોકો દર્શનાર્થે પધારે છે. ચમત્કારિક માનીને તેને શ્રદ્ધાળુ ગામવાસીઓ ભક્તિભાવપૂર્વક વંદન કરે છે.
ટૂંકમાં જિનાલયમાં, મૂળનાયકના ગભારામાં ત્રણ આરસપ્રતિમા, અઠ્યાવીસ ધાતુપ્રતિમા અને શ્રી સુપાર્શ્વનાથના ગભારામાં બે આરસપ્રતિમા તથા પંદર ધાતુપ્રતિમા અને અન્ય ગભારામાં પાંચ આરસપ્રતિમા અને અગિયાર ધાતુપ્રતિમા મળીને કુલ દસ આરસપ્રતિમા અને ચોપ્પન ધાતુપ્રતિમા છે. •
ઐતિહાસિક સંદર્ભ મહાવીરસ્વામી, ધર્મનાથ, સુપાર્શ્વનાથના સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ સૌ પ્રથમ સં. ૧૯૬૭માં થયેલો છે.
સં. ૧૯૫૯માં પં. હીરાલાલકૃત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પંચાસર વિસ્તારમાં ધર્મનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મહાવીરસ્વામીના જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં સોળ આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સાધારણ હતી અને વહીવટ શ્રી સંઘ હસ્તક હતો.
ત્યારબાદ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં પંચાસરા પાર્શ્વનાથજીના કંપાઉંડમાં આવેલા મહાવીરસ્વામીના આ જિનાલયને ઘુમ્મટબંધી દર્શાવ્યું છે. સંભવ છે કે સં. ૧૯૬૩ થી સં. ૨૦૧૦ દરમ્યાન જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોય. જિનાલયમાં પંદર આરસપ્રતિમા અને પચાસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત તે સમયે સં. ૧૪૩૭ની સાલની શ્રાવક-શ્રાવિકાની એક મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. આજે પણ આ મૂર્તિ વિદ્યમાન છે. તે સમયે જિનાલયનો વહીવટ શેઠ ધરમચંદ ઉદયચંદની પેઢી હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ શ્રી પંચાસરા પાર્શ્વનાથ દેરાસર ટ્રસ્ટ હસ્તક છે. ટૂંકમાં મહાવીરસ્વામીનું આ જિનાલય સં. ૧૯૬૩ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org