________________
પાટણનાં જિનાલયો
૨ ૨૩ તંબોળીવાડો
મહાવીરસ્વામી (સં. ૧૭૭૭ પૂર્વે). તંબોલીવાડા વિસ્તારમાં સાધ્વીજી મહારાજના ઉપાશ્રયની પાસે આરસનું બનેલું શ્રી મહાવીરસ્વામીનું જિનાલય આવેલું છે. પ્રવેશીએ એટલે પહેલાં ચોક આવે છે. ત્રણ પ્રવેશદ્વાર પૈકી ડાબી બાજુથી પ્રવેશતાં, સૌ પ્રથમ ત્યાં કેસરની રૂમ આવે છે.
રંગમંડપમાં પ્રવેશતાં સામે જ આવેલી એક ઘુમ્મટયુક્ત દેરીમાં બિરાજમાન શ્રી આદેશ્વરની પ્રતિમાના દર્શન થાય છે. પ્રતિમા પ્રાચીન છે. રંગમંડપ મોટો છે. તેના ઘુમ્મટમાં ગુલાબી રંગની સુંદર કોતરણી છે. થાંભલા પર અને કમાનો પર બારીક કોતરણી છે. અહીં સિદ્ધાયિકાદેવી તથા માતંગયની મૂર્તિઓ છે. વળી અહીંની દીવાલો પર સિદ્ધાચલજી તથા સમેતશિખરના પટ છે.
ગભારા પાસેની છત પર પૂતળી અને ચામર વીંઝતી શિલ્પાકૃતિ છે. ગર્ભદ્વારની ઉપરની દીવાલે યક્ષ, યક્ષિણી તથા મયૂરની રચના છે. ગભારાની ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી જગ્યા છે. ગભારામાં ૨૭” ઊંચાઈ ધરાવતી શ્રી મહાવીરસ્વામીની સપરિકર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પરિકરની આરસનો રંગ જુદો છે જે સૂચવે છે પરિકર પાછળથી બન્યું હોય. પ્રતિમા પર અશોકવૃક્ષની કોતરણી છે. પ્રતિમાલેખ નથી. ગભારામાં કુલ ચાર આરસપ્રતિમા અને ચોવીસ ધાતુપ્રતિમા છે. ગભારામાં જમણી બાજુ દીવાલે ગોખમાં શાંતિનાથ તથા ડાબી બાજુની દીવાલે ગોખમાં કુંથુનાથની આરસપ્રતિમા બિરાજે છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. ત્યારબાદ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં. ૨૦૧૦માં પણ આ જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મહાવીરસ્વામીનું આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં ત્રણ આરસપ્રતિમા તથા બાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
- સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં તંબોળીવાડામાં મહાવીરસ્વામીનું આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. ત્યારે ત્રણ આરસપ્રતિમા તથા છવીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શેઠ ધરમચંદ અભેચંદની પેઢી હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શ્રી ચંદુલાલ વીરચંદ શાહ તથા મુંબઈનિવાસી શ્રી દેવેન્દ્રભાઈ નાનકચંદ શાહ, શ્રી હરેશભાઈ ભોગીલાલ શાહ અને શ્રી વીરેન્દ્રભાઈ જયંતિલાલ શાહ હસ્તક છે. જિનાલયમાં કુલ પાંચ આરસપ્રતિમા તથા ચોવીસ ધાતુપ્રતિમા છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૭૭૭ પૂર્વેનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org